જામનગરના શાંતિનગર વિસ્તારમાં રહેતા એક યુવાન સાથે બે ભાઈઓએ રૂપિયા અઢી લાખની છેતરપિંડી કર્યાની ફરિયાદ
-
આરોપી બંધુઓ પાસેથી મકાન વેચાતું લીધા બાદ તે મકાનના દસ્તાવેજ ત્રાહિતના નામે કરી નાખી છેતરપિંડી આચરી
દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૯ ઓગસ્ટ ૨૪ જામનગરના શાંતિનગર વિસ્તારમાં રહેતા એક ખેડૂત યુવાન સાથે રૂપિયા અઢી લાખની છેતરપિંડી થઈ છે. જામનગરના વુલનમિલ વિસ્તારમાં બે બંધુઓ પાસેથી એક મકાન રૂપિયા અઢી લાખ માં ખરીદ કર્યો હોવાનો દસ્તાવેજ કર્યો હતો. જેના દસ્તાવેજો બારોબાર અન્ય વ્યક્તિના નામે કરી નાખી વિશ્વાસઘાત અને છેતરપિંડી કરી હોવાથી બંને ભાઈઓ સામે પોલીસમાં ફરિયાદ નોંધાવાઇ છે.
આ બનાવની વિગત એવી છે કે જામનગરમાં શાંતિનગર શેરી નંબર -૬ માં રહેતા હરપાલસિંહ ઘનશ્યામસિંહ ઝાલા પોતાની સાથે મકાન ખરીદી ના બહાને રૂપિયા અઢી લાખ મેળવી લઈ મકાનનો કબજો નહીં સોંપી. ત્રાહિત ના નામે વેચાણ કરાર કરી નાખવા અંગે ઢીચડા રોડ પર રહેતા પરેશ દેવશીભાઈ ગોહિલ તથા હરેશ દેવશીભાઈ ગોહિલ નામના બે ભાઈઓ સામે ફરિયાદ નોંધાવી છે.
પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર બંને આરોપી ભાઈઓ પાસેથી જામનગરની સબ રજિસ્ટ્રાર કચેરીમાં વેચાણ કરાર કરીને મકાન ખરીધ્યું હતું, અને ૮૦ હજાર રૂપિયા રોકડા તથા એક લાખ ૭૦ હજાર ની રકમ ચેકના માધ્યમથી આપેલી હતી.
જે અઢી લાખ રૂપિયા મેળવી લીધા બાદ આરોપી ભાઈઓની દાનત બગડી હતી, અને પોતાના મકાનનો કબજો હરપાલસિંહ ઝાલા ને આપ્યો ન હતો, અને તેના બારોબાર અન્ય વ્યક્તિના નામે દસ્તાવેજ કરી નાખ્યા નું ધ્યાનમાં આવ્યું હતું, તેથી મામલાને સીટી બી. ડિવિઝન પોલીસ મથકમાં લઈ જવાયો છે, અને પીએસઆઇ ડી.જી. રાજ અને તેમના સ્ટાફે બંને ભાઈઓ સામે છેતરપિંડી અંગે ગુન્હો નોંધ્યો છે, અને વધુ તપાસ હાથ ધરી છે.