જામનગરના નિચાણવાળા વિસ્તારોમાંથી પાણી ઉતર્યા : 11 પશુઓના મૃતદેહો મળ્યા: લોકોમાં રોગચાળો ફાટી નીકળવાનો ભય.!

0
949

જામનગરના નિચાણવાળા વિસ્તારોમાંથી પાણી ઉતર્યા : 11 પશુઓના મૃતદેહો મળ્યા!

દેશ દેવી ન્યુઝ નેટવર્ક જામનગર: જામનગર શહેરના નીચાણવાળા વિસ્તારમાં વરસાદી પાણી ભરાવાના કારણે તારાજી સર્જાઈ હતી.

જેમાં કેટલૂંક પશુધન મૃત્યુ પામ્યું છે. જે પૈકી 11 જેટલા ગાય-ભેંસના મૃતદેહો પાણી ઓસરી ગયા પછી નજરે પડ્યા છે.

જામનગર મહાનગરપાલિકાની સોલિડવેસ્ટ શાખા દ્વારા મૃતદેહોને અંતિમવિધિ કરવા માટેની કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે.

જામનગરના ઘાંચીવાડ વિસ્તારમાં પાણી ઓસરી ગયા પછી છ ભેંસોના મૃતદેહો મળી આવ્યા હતા. જે અંગેની મહાનગરપાલિકાને જાણ થતાં સોલિડવેસ્ટ શાખાની ટુકડી મોટા વાહનો સાથે પહોંચી ગઈ હતી, અને તમામ મૃતદેહોને ત્યાંથી ઉચકી લેવામાં આવ્યા હતા.

આ ઉપરાંત વ્હોરાના હજીરા પાસે પણ પાંચ જેટલા ગાય-ભેંસ સહિતના પશુઓ તણાઈને આવ્યા હતા, અને તેઓના મૃતદેહો પડયા હોવાના અહેવાલ મળ્યા હતા. જેથી મહાનગરપાલિકાની બીજી એક ટુકડી ઉપરોકત સ્થળે પહોંચી છે, અને પાંચેય મૃતદેહોને વાહનમાં ઉઠાવી લેવાની કાર્યવાહી હાથ ધરી લેવામાં આવી છે.