લોઠીયાથી માનતા ઉતારવા પગપાળા જતા યુવાનને વાહને હડફેટે લેતા કરૂણ મોત

0
4513

લોઠીયા થી માનતા ઉતારવા પગપાળા જતા યુવાનને વાહને હડફેટે લેતા કરૂણ મોત

જામનગર: લાલપુર તાલુકાના લોઠીયા ગામથી મામાદેવના મંદિરે દર્શન કરવાં યુવાન તેની બહેન અને તેના પુત્ર સાથે ચાલીને જતો હતો. તે દરમિયાન પૂરઝડપે બેફીકરાઇથી આવતા પીકઅપ વાહને યુવાનને ઠોકર મારી હડફેટે લેતા અકસ્માતમાં ગંભીર ઈજા પહોંચતા યુવાનનું મોત નિપજ્યું હતું. અકસ્માત બાદ ચાલક વાહન લઇ નાશી ગયો હતો.

અકસ્માતના બનાવની વિગત મુજબ, લાલપુર તાલુકાના લોઠીયા ગામમાં રહેતાં વિરમભાઈ ચનાભાઈ વાઘેલા (ઉ.વ.35) નામનો યુવાન ગત મંગળવારે રાત્રિના સમયે તેના પુત્ર અને તેની બહેન સાથે ચાલીને મામાદેવના મંદિરે માનતા પૂરી કરવા જતા હતાં તે દરમિયાન લાલપુરથી થોડે દૂર પહોંચ્યા ત્યારે પાછળથી પૂરઝડપે બેફીકરાઈથી આવતા સફેદ કલરના પીકઅપ વાહનના ચાલકે યુવાનને હડફેટે લેતા અકસ્માતમાં શરીરે અને માથામાં ગંભીર ઈજા પહોંચી હતી. અકસ્માત બાદ વાહન ચાલક નાશી ગયો હતો. ત્યારબાદ ગંભીર ઈજાગ્રસ્ત વિરમભાઈનું મોત નિપજ્યું હતું. આ બનાવ અંગેની જાણ થતા પોલીસે ઘટનાસ્થળે પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી મૃતકના પિતરાઇ કૈલાશભાઈના નિવેદનના આધારે વાહનચાલક વિરૂધ્ધ ગુનો નોંધી શોધખોળ આરંભી હતી.