જામનગરના જાંબુડા નજીક અકસ્માતમાં નવાનાગના ગામના યુવાનનું કરુણ મોત

0
9661

જાંબુડા નજીક ગમખ્વાર અકસ્માતમાં યુવાનનું કરૂણ મૃત્યુ

  • મોગલ માતાના મંદિરે દર્શનાર્થે જતી વેળાએ કાર-બાઇક અથડાતા સર્જાઇ કરૂણાંતિકા
  • સાથે રહેલ યુવાનની હાલત ગંભીર : રાજકોટ સારવાર બાદ અમદાવાદ ખસેડાયો

દેશ દેવી ન્યુઝ તા. રપ એપ્રિલ ૨૩ જામનગર તાલુકાના નવા નાગના ગામમાં રહેતો ઋત્વિક રઘુભાઈ રાઠોડ નામનો 27 વર્ષનો યુવાન તેના જ કુટુંબી પિતરાઈભાઈ પ્રશાંત રાઠોડ ને પોતાના બાઈકની પાછળ બેસાડીને જામનગર થી જોડિયા તાલુકાના ખીરી ગામે આવેલા મોગલમાના મંદિરે દર્શનાર્થે જઈ રહ્યા હતા.

દરમિયાન જામનગર – રાજકોટ ધોરીમાર્ગ પર જાંબુડા ગામના પાટીયા નજીક સામેથી પુરપાટ વેગે આવી રહેલા જીજે. -10 ડી.જે. 2336 નંબરના ઇકો કાર ના ચાલકે બાઈકને ઠોકરે ચડાવતાં ગોઝારો અકસ્માત સર્જાયો હતો.

જે અકસ્માતમાં ઋત્વિક રઘુભાઈ રાઠોડને ગંભીર પ્રકારની ઈજા થઈ હોવાથી તેનું ઘટના સ્થળે કમકમાટી ભર્યું મૃત્યુ નીપજ્યું હતું. આ ઉપરાંત તેની સાથે બાઈકમાં બેઠેલા પ્રશાંત રાઠોડને પણ ગંભીર પ્રકારની ઈજા થઈ હોવાથી સૌ પ્રથમ જામનગરની જી.જી. હોસ્પિટલમાં અને ત્યારબાદ વધુ સારવાર માટે અમદાવાદની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.આ અકસ્માતના બનાવની જાણ થતાં પંચકોશી એ. ડિવિઝનના પોલીસ કર્મચારી દિનેશભાઈ રાઠોડ ઘટના સ્થળે દોડી ગયા હતા, અને મૃતદેહ નો કબજો સંભાળી વધુ તપાસ હાથ ધરી છે. આ અકસ્માતના બનાવને લઈને નવા નાગના ગામમાં શોકનું મોજું ફરી વળ્યું છે.