જામનગર દરેડમાં મહિલાની હત્યાથી ભારે ચકચાર

0
5563

દરેડમાં પરપ્રાંતિય યુવતીની ઘરમાં જ હત્યાથી ચકચાર

  • હત્યાના આરોપીને ઝડપી લેવા પોલીસે હાથ ધરી સઘન તપાસ 

દેશ દેવી ન્યુઝ જામનગર તા.૨૪ એપ્રિલ ૨૩ :જામનગર નજીક દરેડમાં એક ખોલીમાં રહીને મજૂરી કામ કરતા મૂળ મધ્યપ્રદેશના ગ્વાલિયર જિલ્લાના બાબુપુર ગામના વતની કમલસિંગ બલરામસિંઘ બધેલ કે જેના પત્ની મીનાબેન (45 વર્ષ) ગઈકાલે મોડી સાંજે પોતાના ઘરે એકલા હતા, જે દરમિયાન તેણી ગળેફાંસો ખાધેલી હાલતમાં મળી આવી હતી.

જેથી આ બનાવ અંગે પતિ કમલસિંગ દ્વારા પોલીસને જાણ કરવામાં આવી હતી, જેથી પંચકોષી બી. ડિવિઝનનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો, અને મૃતદેહ નો કબજો સંભાળી જામનગરની જી.જી. હોસ્પિટલમાં તબીબોની પેનલ મારફતે પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું.

જે પોસ્ટપોટમના રિપોર્ટમાં મીનાબેન ની ગળે ટુંપો દઇ હત્યા નીપજાવી હોવાનું તારણ નીકળ્યું હતું. જેથી પંચકોશી બી. ડિવિઝન ના PSI એમ.એ. મોરી તેમજ રાઇટર દિગુભા જાડેજા વગેરેએ કમલસિંઘ બલરામસિંઘ ની ફરિયાદના આધારે અજાણ્યા વ્યક્તિ સામે આઇ.પી.સી. કલમ 302 અને 447 મુજબ ગુન્હો નોંધ્યો છે, અને તપાસ નોંધમધમાટ શરૂ કર્યો છે.

મૂળ મધ્યપ્રદેશના વતની પરપ્રાંતિય પરિવાર કે જેમાં મીનાબેન, પતિ કમલસિંઘ અને તેના ત્રણ સંતાનો જેઓ છેલ્લા કેટલાક વર્ષથી દરેડ વિસ્તારમાં રહે છે, અને પતિ તથા ત્રણેય સંતાનો એક કારખાનામાં મજૂરી કામે જાય છે, જ્યારે મીનાબેન પોતાના ઘેર એકલા હતા. જે દરમિયાન તેઓના ઘરમાં કોઈ અજ્ઞાત વ્યક્તિ આવ્યો હતો, અને મીનાબેન ની સાડી વડે ગળે ટૂંપો આપી દીધો હતો. કયાં સંજોગોમાં આ હત્યા નીપજવાઇ છે, અથવા તો હત્યાર પાછળનું કારણ શું છે, જે સમગ્ર મામલે પોલીસ દ્વારા ઊંડાણ પૂર્વકની તપાસ ચલાવવામાં આવી રહી છે, અને આડોશી પડોશીઓના પણ નિવેદનો નોંધવામાં આવી રહ્યા છે.