જામનગરનો ગુરૂદ્વારા ચોકડીથી હોસ્પિટલ તરફનો માર્ગ ફરી શરૂ

0
914

જામનગરનો ગુરૂદ્વારા ચોકડીથી હોસ્પિટલ તરફનો માર્ગ ફરી શરૂ

દેશ દેવી ન્યુઝ જામનગર તા.૧૭ મે ૨૩ જામનગર શહેરમાં ગુરુદ્વારા ચોકડી પાસે ફલાયઓવર ના નિર્માણ દરમિયાન પાણીની કેનાલ નવી બનાવવા માટે ગુરુદ્વારા થી જી.જી. હોસ્પિટલના માર્ગને છેલ્લા દોઢ માસથી બંધ કરવામાં આવ્યો હતો, અને તે માટેનું મ્યુનિ. કમિશનર દ્વારા વિશેષ જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું. તળાવની વેસ્ટ વિયર કેનાલ, કે જેને ગુરુદ્વારા તરફથી અંબર ચોકડી તરફ જવા માટે નવી કેનાલ બનાવવાની હોવાથી જી.જી. હોસ્પિટલ થી ગુરુદ્વારા ચોકડી તરફ જવાના માર્ગને બંધ કરી દેવાયો હતો, અને પતરા ની આડશ મૂકી દેવાઇ હતી.

જે કેનાલની કામગીરી આજે પૂર્ણ થઈ ગઈ હોવાથી મહાનગરપાલિકા દ્વારા જાહેરનામાની અમલવારી પૂર્ણ કરી દેવામાં આવી છે, અને રસ્તો ખુલ્લો કરી દેવાયો છે. આજે સવારથી જ જી.જી. હોસ્પિટલથી ગુરુદ્વારા તરફ જવા માટેનો વાહન વ્યવહાર પૂર્વવત બની ગયો છે. છેલ્લા દોઢ માસથી લોકોને આ માર્ગ પરથી પસાર થવા માટે અનેક ચક્કર લગાવવા પડતા હતા, જેમાંથી આખરે આજે મુક્તિ મળી છે. અને માર્ગ ખુલ્લો થયો છે.