જામનગરમાં દરબાર યુવાનની આત્મહત્યા કે હત્યા..? : પરપ્રાંતિય પત્ની ગુમ

0
3026

જામનગરમાં ક્ષત્રિય યુવાનની આત્મહત્યા કે હત્યા..?શહેરની મધુરમ સોસાયટીમાં મકાનમાંથી દુર્ગંધ આવતા પાડોશીઓએ પોલીસને જાણ કરાઇ

જયદિપસિંહ દિલીપસિંહ વાઘેલા નામના યુવાનની લાશ ફાંસો ખાઘેલી શંકાસ્પદ હાલતમાં લાશ મળી

યુવાને ગયા મહિને જ એક પરપ્રાંતીય યુવતી સાથે લગ્ન કર્યા હતા.

યુવતીના સગડ નહીં મળતા તે દિશામાં પણ સઘન તપાસ.

દેશ દેવી ન્યુઝ જામનગર 14. જામનગર શહેરની મધુરમ સોસાયટીમાં સોમવારે સ્થાનિક રહેવાસીઓને એક મકાનમાંથી અતિશય દુર્ગંધ આવતી હોય જેના કારણે તેઓએ પહેલા ફાયરબ્રિગેડને જાણ કરી હતી, જયાં દરવાજો તોડી અંદર પ્રવેશતા એક યુવાનની લાશ લટકતી મળતા સમગ્ર વિસ્તારમાં ભારે અરેરાટી ફેલાઇ જવા પામી હતી, તાત્કાલિક પોલીસ વિભાગને આ અંગે જાણ કરતા પોલીસકાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો.આ અંગેની વધુ વિગત મુજબ, જામનગરના નવાગામ ઘેડ વિસ્તારમાં આવેલી મધુરમ સોસાયટીમાં રહેતા જયદીપસિંહ દિલીપસિંહ વાઘેલા (ઉ.વ.30) નામના યુવાન સોમવારે તેમના રહેણાક મકાનમાંથી ગળાફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યા છે. તે સ્થળે ભાડેથી રહેતા આ યુવાનનું મકાન ઘણા બધા દિવસથી બંધ હતુ અને તેમાંથી અસહ્ય દુર્ગંધ પ્રસરવાનું શરૂ થતા કોઈએ પોલીસ તથા ફાયરબ્રિગેડને જાણ કરી હતી જેના પગલે સોમવારે બારણું તોડી તે મકાનમાં પ્રવેશ કરવો પડયો હતો. આ મકાનમાં એક ઓરડામાં પંખા સાથે ગળાફાંસો ખાધેલી હાલતમાં દિલીપસિંહ જોવા મળ્યા હતા. પોલીસે તેઓને નીચે ઉતારી ચકાસતા આ યુવાન મૃત્યુ પામેલા જણાઈ આવ્યા હતા. મૃતદેહના પગ પાસે લોહી પણ રેલાયેલુ જોવા મળ્યું હતું. આ મકાનમાં ઉપરોકત મૃતદેહ હોય તેમાંથી દુર્ગંધ પ્રસરતી હતી.

પોલીસે મૃતદેહનો કબ્જો સંભાળ્યા પછી શરૃ કરેલી તપાસમાં મળેલી પ્રાથમિક વિગત મુજબ ત્રીસેક વર્ષના આ યુવાને ગયા મહિનાની સત્તર તારીખે એક પરપ્રાંતીય યુવતી સાથે લગ્ન કર્યા હતા અને તે પછી હાલમાં જ્યારે આજે તે યુવાનનો મૃતદેહ મળ્યો છે ત્યારે આ યુવતી ઘરમાંથી મળી ન હોય તે દિશામાં પણ તપાસ શરૃ કરાઈ છે. આ યુવાનના ગળાફાંસો ખાધેલા મૃતદેહ નીચે લોહી કેવી રીતે આવ્યું? તે સહિતની તમામ દિશાઓમાં પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.