જામનગરમાં અબોલ પશુઓના જીવ લેનાર કારચાલક સામે પોલીસ ફરિયાદ

0
3286

જામનગરમાં રણજીત સાગર રોડ પર બે અબોલ પશુઓના જીવ લેનાર કારચાલક સામે પોલીસ ફરિયાદ નોંધાવાઈ

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૫ ઓગસ્ટ ૨૪, જામનગરમાં સાધના કોલોની રોડ પર શનિવારે મોડી રાત્રે એક કારના ચાલકે બેદરકારી પૂર્વક કાર ચલાવી માર્ગ પર બેઠેલા બે અબોલ પશુઓને હડફેટમાં લઈ લેતાં બંનેના અંતરિયાળ મૃત્યુ નીપજ્યા હતા, જે પશુઓના મૃત્યુ નીપજાવનાર કાર ચાલક સામે પોલીસ ફરિયાદ નોંધાવાઇ છે.

આ અકસ્માતના બનાવ ની વિગત એવી છે કે જામનગર ના રણજીત સાગર રોડ પર શનિવારે મોડી રાત્રે પસાર થઈ રહેલા જી.જે.- ૧ કે.એ.૭૭૫૬ નંબરના વેગનાર કારના ચાલકે પોતાની કાર બેદરકારી પૂર્વક ચલાવી હતી, અને માર્ગ પર બેઠેલી બે ગાયને ઠોકરે ચડાવતાં બંને ગાયના અંતરિયાળ મૃત્યુ નીપજ્યા હતા.ત્યારબાદ કાર આગળ જઈને ડિવાઇડર સાથે ટકરાઈ ગઈ હતી. પરંતુ સદભાગ્યે કારચાલકને કોઈ ઈજા થઈ ન હતી, પરંતુ અકસ્માત બાદ તે પોતાની કાર છોડીને ભાગી છુટ્યો હતો.

અબોલ પશુઓના જીવ લેનાર કારચાલક સામે મોડી રાત્રે નારાજગી વ્યક્ત કરવામાં આવી હતી, અને કેટલાક લોકોનું ટોળું એકત્ર થયું હતું,અને ઉશકેરાટમાં આવી જઈ, વેગેનાર કંપનીની કારને આગ ચાંપી દેતાં ફાયરની ટીમ પહોંચે તે પહેલાં કાર બળીને ખાખ થઈ છે, ને માત્ર હાડપિંજરના સ્વરૂપમાં જ રહી હતી. પોલીસને આ ઘટનાને જાણ થવાથી સીટી એ. ડિવિઝનનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો, અને સમગ્ર બનાવ મામલે તપાસ શરૂ કરી છે.

પોલીસે અબોલ પશુઓના માલિક પંકજભાઈ કરસનભાઈ મકવાણા ની ફરિયાદના આધારે બે પશુઓના મૃત્યુ નીપજાવવા અંગે વેગેનાર કાર ના ચાલક સામે ફરિયાદ નોંધાવી છે અને વાહનના રજીસ્ટ્રેશન ના નંબર ના આધારે તેના ચાલકની શોધખોળ હાથ ધરી છે.