જામનગરમાં બે નવા ઓવરબ્રિજનું ખાતમુહુર્ત કરશે PM

0
2325

આગામી સોમવારે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી જામનગરમાં બે નવા ઓવરબ્રિજનું ખાતમુહુર્ત કરશે

અંદાજિત રૂ.107 કરોડના ખર્ચે લાલપુર બાયપાસ ફ્લાયઓવર બ્રિજ અને હાપા માર્કેટિંગ યાર્ડ રેલવેબ્રીજ નિર્માણ પામવાથી લોકોની સુવિધામાં વધારો થશે.દેશ દેવી ન્યુઝ જામનગર તા.07 ઓકટોબર  આગામી તા.10 ઓક્ટોબરના રોજ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી જામનગર પધારશે અને જિલ્લામાં રૂ.1462 કરોડના ખર્ચે વિવિધ 9 જેટલાં વિકાસ કાર્યોના લોકાર્પણ તથા ખાતમુહૂર્ત કરશે. આ અંતર્ગત વડાપ્રધાનશ્રી અંદાજીત કુલ રૂ.107 કરોડના ખર્ચે બનનાર લાલપુર બાયપાસ ફ્લાયઓવર બ્રિજનું તેમજ હાપા માર્કેટીંગ યાર્ડ પાસે નિર્માણ પામનાર રેલ્વે ઓવરબ્રિજનું ખાતમુહુર્ત કરશે.ઘણા સમયથી નગરજનોની ફ્લાયઓવર બ્રિજની રજુઆતને ધ્યાને લઇ જામનગર શહેરમાં અંદાજીત રૂ. 65 કરોડના ખર્ચે લાલપુર જંકશન પર લગભગ 1 કિ.મી. લાંબા ફ્લાયઓવર બ્રિજનું નિર્માણ કરવામાં આવશે. આ બ્રિજ રાજકોટ-ખંભાળીયા બાયપાસના લાલપુર જંકશન પર બનાવવામાં આવશે. તેનાથી જામનગર શહેર તથા લાલપુરને જોડતા મુખ્ય રસ્તાના કૉંસીંગ તેમજ જી.આઈ.ડી.સી. દરેડનો વાહનવ્યવહાર સુગમ થશે અને વિસ્તારમાં ટ્રાફીકના પ્રશ્નોનું નિરાકરણ આવશે.રાજય સરકારના ફાટક મુકિત અભિયાન અંતર્ગત જામનગર શહેરને ફાટક મુક્ત બનાવવા માટે શહેરમાં જુદા-જુદા 3 રેલ્વે ક્રોસીંગ પૈકી 2 રેલ્વે ક્રોસીંગ પર ઓવર બ્રિજ તથા 1 રેલ્વે ક્રોસીંગ પર અન્ડરબ્રિજ માટે રાજય સરકાર દ્રારા રૂ. 100 કરોડની સૈધ્ધાંતિક મંજુરી મળેલ છે. જેમાંથી હાલ હાપા માર્કેટીંગ યાર્ડ પાસે અંદાજીત રૂ.42 કરોડના ખર્ચે રેલ્વે ઓવરબ્રિજનું ખાતમુહુર્ત નરેન્દ્રભાઈ મોદીના હસ્તે થશે. આ બ્રિજથી ફાટક દૂર થતા અવિરત વાહનવ્યવહારથી ઇંધણની બચત થશે અને અંદાજે 2 લાખની વસ્તીને લાભ થશે. આ બ્રીજ તૈયાર થતા હાપા માર્કેટ યાર્ડનો વાહનવ્યવહાર સુગમ થશે અને વિસ્તારમાં ટ્રાફીકના પ્રશ્નોનું નિવારણ થશે