જામનગર જી.જી. હોસ્પિટલ ખાતે સગર્ભાઓ માટે નવા સોનોગ્રાફી વિભાગનો શુભારંભ.

0
503

જામગનર જી.જી. હોસ્પિટલ ખાતે સગર્ભાઓ માટે નવા સોનોગ્રાફી વિભાગનો શુભારંભ.


કોરોના મહામારી દરમિયાન પણ સગર્ભાઓના સ્વાસ્થ્યની કાળજી લઇ શકાય તે માટે જી. જી. હોસ્પિટલની જૂની કેન્ટીન ખાતે સોનોગ્રાફીની અલાયદી વ્યવસ્થાનું નિર્માણ કરાયું.


જામનગર તા. 2
જામનગરની જી. જી. હોસ્પિટલ ખાતે પ્રતિદિવસ અંદાજિત 150થી 200 જેટલી સગર્ભા સ્ત્રીઓની અને વાર્ષિક 50 હજારથી વધુ સગર્ભા સ્ત્રીઓની સોનોગ્રાફી કરવામાં આવે છે.

આ સમયે કોરોના મહામારી દરમ્યાન પણ સગર્ભા સ્ત્રીઓ અને ગર્ભસ્થ શિશુના સ્વાસ્થ્યની કાળજી અર્થે સગર્ભાઓને કોઈ તકલીફના રહે તેવા હેતુ સાથે જૂની કેન્ટીન ખાતે ડિપાર્ટમેન્ટ ઓફ રેડિયોલોજી દ્વારા અલાયદા સોનોગ્રાફી વિભાગનું નિર્માણ કરવામાં આવ્યું છે.


આ અલાયદા સોનોગ્રાફી વિભાગનો આજરોજ ડેપ્યુટી ડાયરેકટર મેડિકલ સર્વિસીસ ડો. તૃપ્તિ નાયક તથા સગર્ભા મહિલાના હસ્તે શુભારંભ કરવામાં આવ્યો હતો. જી.જી. હોસ્પિટલ ખાતે જામનગર શહેર ઉપરાંત જિલ્લાના સિક્કા, ફલ્લા, પડાણા, અલીયાબાડા, ધ્રોલ, વસઈ, લાલપુર, ધુતારપર, મોડપર વગેરે પી.એચ.સીથી પણ સગર્ભા સ્ત્રીઓને વાહનની સુવિધા દ્વારા સોનોગ્રાફી માટે અહીં લાવવામાં આવેછે. વધુમાં વધુ સગર્ભાઓને આ લાભ મળી શકે અને હાલ કોરોના મહામારીમાં હોસ્પિટલના સંભવત: સંક્રમિત વિસ્તારથી દૂર સુરક્ષિત જગ્યામાં તપાસ થઈ શકે તે માટે આ અલગ વ્યવસ્થા નિર્મિત કરવામાં આવીછે. મા અને બાળક બંનેનું સ્વાસ્થ્ય સચવાય શકે તે માટે સગર્ભાવસ્થા દરમ્યાન ગર્ભમાંના શિશુના વિકાસ અને સ્વાસ્થ્યની કાળજી અર્થે સોનોગ્રાફી કરવી ખૂબ આવશ્યક છે.

આ વિભાગમાં વેઇટીંગ એરીયા, હવા-ઉજાસ સાથેનું વાતાવરણ, પીવાના ઠંડા પાણી તેમજ નાસ્તાની સુવિધાઓ નિર્મિત કરવામાં આવી છે જેથી સગર્ભા સ્ત્રીઓની સોનોગ્રાફી સલામતીપૂર્વક, સમયસર અને અનુકૂળ વાતાવરણમાં કરી શકાય. આ સાથે જ વિભાગમાં સગર્ભાઓ માટે હકારાત્મક વાતાવરણના નિર્માણ હેતુ વાંચન માટે ઉમદા પુસ્તકોની વ્યવસ્થા કરવામાં આવી છે જે તેઓ ત્યાં વાંચી શકે છે અને સાથે જ પોતાના ઘરે પણ લઈ જઈ શકે છે.

આમ સ્વસ્થ ભારતના નિર્માણ હેતુ તંદુરસ્ત બાળક અને તંદુરસ્ત માતાની અભિલાષાને પરિપૂર્ણ કરવા આ નવી વ્યવસ્થાઓનો જામનગર જિલ્લાની સગર્ભાઓને આજથી લાભ મળશે.