જામનગરના ધ્રોલમાં પતિએ પત્નિની ઠંડા કલેજે હત્યા કરી મૃતદેહ જમીનમાં દફનાવી દીધો : જુવો VIDEO

0
3555

ધ્રોલ પંથકમાં બન્યો ‘ક્રાઇમ પેટ્રોલ’ને ટક્કર મારતો અપરાધ : ઠંડા કલેજે પત્નીની હત્યા કરી મૃતદેહ જમીનમાં દફનાવી દેતો પતિ

  • બે દિવસથી લાપત્તા બનેલી યુવતીની શોધખોળ પછી આખરે હત્યાનો મામલો સામે આવ્યો 
  • ચારિત્ર્યની શંકા પરથી પતિએ ગળું દબાવી દીધું: 
  • ધ્રોલ પોલીસે ખાડો ખોદાવી મૃતદેહને બહાર કઢાવ્યો: જી.જી. હોસ્પિટલમાં પોસ્ટ મોર્ટમ 
  • મૃતક યુવતીની માતાની ફરિયાદના આધારે હત્યાનો ગુનો નોંધી પતિની અટકાયત કરતી પોલીસ

દેશ દેવી ન્યુઝ જામનગર : તા. o૫ એપ્રિલ ૨૩ ધ્રોલ પંથકમાં ટીવી સીરીયલ ‘ક્રાઇમ પેટ્રોલ’ને ટક્કર મારતો અપરાધ બન્યો છે જેમાં પતિએ ઠંડા કલેજે પત્નીની હત્યા કરી મૃતદેહ જમીનમાં દફનાવી દીધી હતી અને પોલીસને મૃતક મહિલાની ગુમ થયાની ફરિયાદ મળતા તપાસ હાથ ધરતા ચકચારજનક વિગતો બહાર આવી છે.

ધ્રોલમાં આંબેડકરનગર વિસ્તારમાં રહેતી સોનલબેન મનસુખભાઈ ચૌહાણ નામની 27 વર્ષની પરણીતા, બે દિવસથી એકાએક લાપત્તા બની હતી, અને સોનલબેન ના માતા જશુબેન જે રાજકોટ જિલ્લાના મોટા મૌવા પાસે રહે છે, તેઓ ધ્રોલ દોડી આવ્યા હતા, અને પોતાની પુત્રી સોનલ વિશે સોનલના પતિ મનસુખ હીરજી ચૌહાણ ને પૂછપરછ કરી હતી. પરંતુ તેને સરખો જવાબ આપ્યો ન હતો. જેથી જશુબેને ધ્રોલ પોલીસનો સંપર્ક સાધ્યો હતો.

ગઈ રાત્રે ધ્રોળ પોલીસે મનસુખ ચૌહાણને પોલીસ મથકે બોલાવ્યો હતો અને તેની આગવી ઢબે પૂછપરછ કરતાં આખરે તેણે પોતાની પત્ની સોનલ ની હત્યા નિપજાવી હોવાનું કાબુલી લીધું હતું.

પોતાની પત્ની સોનલ કે જે અન્ય કોઈ પુરુષ સાથે અનૈતિક સંબંધો ધરાવે છે, તેવી શંકા વ્યક્ત કરતો હતો, અને તે શંકા ના કારણે 2.4.2023 ના રાત્રિના સમયે પોતાની પત્ની સોનલને ઘર પાસે જ આવેલા ઈંટોના ભઠ્ઠામાં લઈ ગયો હતો, અને ત્યાં તેનું ગળું દબાવી હત્યા નીપજાવી હતી ત્યારબાદ મોડી રાત્રે મૃતદેહ ને પોતાના ઘેર લઈ આવી ફળિયામાં સેફટી ટેકની બાજુમાં ખાડો બનાવ્યો હતો અને તે ખાડામાં મૃતદેહને દાટી દઈ મૃતદેહ પર પથ્થર અને માટી નાખી દઈ જમીન સમથળ કરી નાખી હતી, પરંતુ ભાંડો ફૂટી ગયો હતો, અને પત્નીની હત્યા કરીને દાટી દીધી હોવાની કબુલાત કરી હોવાથી મોડી રાત્રે ધ્રોળ પોલીસે ખાડો ખોદાવીને તેમાંથી સોનલબેનના મૃતદેહને બહાર કઢાવી દીધો હતો.

જેને આજે જામનગરની જી.જી. હોસ્પિટલમાં લઈ આવ્યા પછી તબીબોની પેનલ મારફતે પોસ્ટ મોર્ટમ કરાવવામ આવી રહ્યું છે. ધ્રોલ પોલીસ દ્વારા મૃતક સોનલબેન ની માતા જશુબેન ની ફરિયાદના આધારે મનસુખ હીરા ચૌહાણ સામે હત્યા અને પુરાવાનો તેમજ પુરાવાનો નાશ કરવા સહિતની જુદી જુદી કલમો હેઠળ ગુનો નોંધ્યો છે, અને તેની અટકાયત કરી લીધી છે મૃતક સોનલબેન કે જેઓના આ બીજું લગ્ન હતું, અને મનસુખ ચૌહાણ સાથે છેલ્લા પાંચ વર્ષથી ધ્રોલના આંબેડકર નગર વિસ્તારમાં રહેતી હતી, અને તેને સંતાનમાં બે પુત્રી અને એક પુત્ર સહિતના પાંચ સંતાનો છે, જે સંતાનો માતા વિહોણા બની ગયા છે. આ બનાવે ધ્રોળ પંથકમાં ભારે ચકચાર જગાવી છે.