જામનગર નાઘેડીમાં ચારણ યુવાનની ક્રુર હત્યા : પત્ની – પ્રેમી શંકાના દાયરામાં !

0
8160

જામનગર નજીક નાઘેડી વિસ્તારમાં ચારણ યુવાન પર જીવલેણ હુમલો કરી હત્યા નિપજાવ્યા ની ઘટના સામે આવતાં ભારે ચકચાર

  • વહેલી સવારે અજાણ્યા શખ્સો એ બોથડ કે ધારદાર હથિયારનો ઘા મારી હત્યા કર્યા પછી પુરાવાનો નાશ કરવા મૃતદેહ ને સળગાવી નાખ્યો

  • પ્રાથમિક તપાસમાં પત્નીના અનૈતિક સંબંધ કારણભૂત? પત્નીએ પ્રેમીઓ સાથે મળીને હત્યા નિપજાવ્યાની આશંકા

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૧૬ ઓગસ્ટ ૨૪ જામનગર નજીક નાઘેડી વિસ્તારમાં રહેતા અને માલધારીનો વ્યવસાય કરતા એક ચારણ યુવાન પર વહેલી સવારે ધારદાર અથવા બોથડ પદાર્થનો ઘા મારી હત્યા નિપજાવ્યા પછી પુરાવાનો નાશ કરવા માટે મૃતદેહને સળગાવી નાખ્યા ની ઘટના સામે આવતાં ભારે હલચલ મચી ગઈ છે. પોલીસે અજાણ્યા શખ્સો સામે હત્યા અંગેનો અપરાધ નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. મૃતક ની પત્નીને તેના જ કોઈ કુટુંબી સાથે અનૈતિક સંબંધ હોવાનું અને તેમાં આડખીલી રૂપ પતિનો કાંટો કાઢી નાખવા પ્રેમી સાથે મળી હત્યાનો કારસો રચ્યા હોવાની આશંકા સેવાઈ રહી છે. જોકે હજુ આ મામલામાં ચોક્કસ કડી મળી નથી, અને પોલીસ ઉંડાણપૂર્વકની તપાસ ચલાવે છે.

આ બનાવની વિગત એવી છે કે જામનગર નજીક નાઘેડી વિસ્તારમાં લહેર તળાવ થી થોડે દૂર રહેતા અને માલધારી નો વ્યવસાય કરતા કિશોર ઉર્ફે કિહલો ધાનસુર સુમાત નામના ૩૬ વર્ષના ચારણ યુવાનનો હત્યા કરાયેલો અને ત્યારબાદ સળગાવી દેવાયેલો મૃતદેહ તેના ઝુપડાની સામે એક ખાટલા પરથી મળી આવ્યો હતો.

આ ઘટનાની જાણ થતાં પંચકોષી બી. ડિવિઝનનો પોલીસ કાફલો, તેમજ એલસીબીની ટુકડી સહિતની પોલીસ ટિમ દોડતી થઈ હતી, અને સૌ પ્રથમ આ મામલામાં પોલીસે હત્યા અંગેનો અપરાધ નોંધ્યો છે. કોઈ અજાણ્યા શખ્સો દ્વારા ચારણ યુવાન કિશોર ના માથામાં બોથડ અથવા તીખણ હથીયારના ઘા મારી દઈ, વહેલી સવારે હત્યા નિપજાવ્યા બાદ પુરાવાનો નાશ કરવા માટે તેના ઝુપડાની સામે ખાટલા પર મૃતદેહને રાખીને સળગાવી દેવાનો પ્રયાસ કરાયો હતો.

જે મૃતદેહ ૯૦ ટકા બળી ગયો હતો. આ ઘટનાની જાણ થતાં પંચકોસી બી. ડિવિઝન પોલીસ તથા એલસીબી અને જામનગર ગ્રામ્ય વિભાગના ડીવાયએસપી ની ટીમ વગેરે દોડતી થઈ હતી, અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.પોલીસે મૃતદેહ નો કબજો સંભાળી પોસ્ટ મોર્ટમ કરાવ્યું છે, અને મૃતદેહ ને જીજી હોસ્પિટલના કોલ્ડ રૂમમાં રાખ્યો છે, જ્યારે મૃતક ના ભાઈ પાનસુર સોમાતની ફરિયાદ ના આધારે અજાણ્યા શખ્સો સામે હત્યા અંગેનો અપરાધ નોંધી તપાસ શરૂ કરી છે.

એક દિશામાં એવી જાણકારી પણ મળી રહી છે, કે મૃતક યુવાનની પત્ની કે જેને તેનાજ કુટુંબી સાથે અનૈતિક સંબંધ રહ્યા છે, અને તેમાં પતિ નો કાંટો કાઢી નાખવા માટે પત્ની અને તેના પ્રેમી એ આ હત્યા કર્યા ની આશંકા શેવાઇ રહી છે. જોકે હજુ સુધી આ મામલામાં કોઈ કડી મળી નથી, પરંતુ પોલીસ તે દિશામાં પણ તપાસ કરી રહી છે, અને નજીકના ભવિષ્યમાં જ આ હત્યા ના રહસ્ય પરથી પડદો ઉચકાય તેમ મનાઈ રહયું છે.