જામનગર કાલાવડમાં પૂર્વ સરપંચના પતિએ ૬ હજારના બિલ માટે તલાટીને ફડાકાવારી કરી

0
3835

કાલાવડ તાલુકાના નપાણીયા ખીજડીયા ગામના તલાટી કમ મંત્રી પર હીચકારો હુમલો કરાતાં ભારે ચકચાર

  • માત્ર ૬ હજાર રૂપિયાના બિલ ના નાણાં રોકવાના પ્રશ્ને પૂર્વ મહિલા સરપંચના પતિ દ્વારા માર મારી ફરજ માં રૂકાવટ કર્યાની ફરિયાદ

દેશ દેવી ન્યુઝ જામનગર તા ૨૫ નવેમ્બર ૨૩, કાલાવડ તાલુકાના નપાણીયા ખીજડીયા ગામના તલાટી કમ મંત્રી પોતાની ઓફિસમાં ફરજ પર હતા, દરમિયાન ગામના પૂર્વ મહિલા સરપંચ ના પતિદેવે આવીને માત્ર ૬,૦૦૦ રૂપિયા ના મજૂરી કામના બિલના નાણા રોકવાના મામલે તલાટી કમ મંત્રી પર હુમલો કરી દીધો હતો, અને ગાળો ભાંડી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાથી અને તેઓની ફરજમાં રૂકાવટ કરી હોવાથી આ મામલે પોલીસ ફરિયાદ નોંધાવાઇ છે. જે બનાવને લઈને ભારે ચકચાર જાગી છે.આ ફરિયાદ અંગેના બનાવની વિગત એવી છે કે જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના ચોરબેડી ગામમાં રહેતા અને કાલાવડ તાલુકાના નપાણિયા ખીજડીયા ગામના તલાટી કમ મંત્રી તરીકે ફરજ બજાવતા મિલનભાઈ નારણભાઈ વસરા એ પોતાના પર હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપવા અંગે તેમ જ પોતાની સરકારી ફરજમાં રૂકાવટ પેદા કરવા અંગે નપાણીયા ખીજડીયા ગામમાં રહેતા પૂર્વ મહિલા સરપંચ નિરાલિબેન ભલારા ના પતિદેવ હરેશભાઈ ભલારા નામના શખ્સ સામે ફરિયાદ નોંધાવી છે. જે ફરિયાદના અનુસંધાને કાલાવડ ગ્રામ્ય પોલીસે આઇપીસી કલમ ૩૨૩,૫૦૪, અને ૫૦૬-૨ મુજબ ગુનો નોંધ્યો છે.પોલીસમાં જાહેર કરાયા અનુસાર ફરીયાદી તલાટી કમ મંત્રી ગઈકાલે પોતાની કચેરીમાં સરકારી ફરજ પર હતા, અને નવા આવેલા તલાટી કમ મંત્રીને પોતાના ચાર્જની સોંપણી કરતા હતા, જે દરમિયાન આરોપી હરેશ ભલારા ધસી આવ્યો હતો, અને પોતે અગાઉ કરાવેલું મજૂરી કામ કે જેનું માત્ર ૬ હજાર રૂપીયા નું બિલ રોકાયું હોવાથી તે બિલના નાણા બાબતે તલાટી કમ મંત્રી પાસે ધમકી ભર્યા અવાજે વાત કરી હતી, અને તલાટી કમ મંત્રી ને ગાળો ભાંડી, ઝાપટો મારી દીધી હતી. અને તેઓની સરકારી ફરજમાં રૂકાવટ કરી હતી. અને જો બિલ પાસ નહીં કરે તો જાનથી મારી નાખશે, તેવી ધમકી આપી હતી.જે મામલો આખરે કાલાવડ ગ્રામ્ય પોલીસ મથકમાં લઈ જવાયો હતો, અને પીએસઆઈ એચ.વી. પટેલ દ્વારા આરોપી સામે ફરજમાં રૂકાવટ અને હુમલા અંગે ગુન્હો નોંધ્યો છે, અને આરોપીને શોધવા માટેની કાર્યવાહી હાથ ધરી છે.