જામનગર જીલ્લામાં હવે આંગણવાડીના ભૂલકાઓ પણ યુનિફોર્મથી શોભશે.

0
212

જામનગર જીલ્લામાં હવે આંગણવાડીના ભૂલકાઓ પણ યુનિફોર્મથી શોભશે.

જામનગર જિલ્લાના 24,889 વિદ્યાર્થીઓ માટે યુનિફોર્મ વિતરણ કરાયું.

કાર્યક્રમમાં મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી ગાંધીનગરથી વર્ચ્યુઅલ ઉપસ્થિત રહ્યા.

સગર્ભા બહેનો, ધાત્રી માતાઓ, કિશોરીઓ તેમજ નાના બાળકોની રાજ્ય સરકાર દરેક ક્ષેત્રે દરકાર લઈ તેમની સતત ચિંતા કરી રહી છે- રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા 

જામનગર: જામનગરની જિલ્લા પંચાયત કચેરી ખાતે અન્ન અને નાગરિક પુરવઠા રાજ્યમંત્રીશ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાના અધ્યક્ષ સ્થાને તેમજ મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમા જિલ્લાની આંગણવાડીઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે યુનિફોર્મ વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો.

જેમાં જામનગર મહાનગરપાલિકા વિસ્તાર હેઠળની 309 આંગણવાડીઓના 5041 તથા જિલ્લા પંચાયત હસ્તકની 888 આંગણવાડીઓના 19,848 બાળકો મળી સમગ્ર જિલ્લાના 3 થી 6 વર્ષની ઉંમરના કુલ 24,889 બાળકોને યુનિફોર્મ વિતરણ કરવામાં આવ્યું હતું.જે અંતર્ગત કાર્યક્રમના સ્થળે પ્રતીકરૂપે 12 બાળકોને યુનિફોર્મ તથા હાઈજીન કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે રાજ્યમંત્રી શ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે રાજ્ય સરકાર દ્વારા સમગ્ર રાજ્યમાં આંગણવાડીના 3 થી 6 વર્ષના બાળકો માટે યુનિફોર્મ વિતરણનો કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો છે જેમાં જામનગર જિલ્લા માં પણ જિલ્લા પંચાયત હસ્તકની 888 તેમજ મહાનગર પાલિકા હસ્તકની 309 આંગણવાડીઓના 24,889 બાળકોને યુનિફોર્મ વિતરણ કરવામાં આવનાર છે રાજય સરકારના આ ઉત્તમ અભિગમ થકી આંગણવાડીઓના ભૂલકાઓને એક આગવી ઓળખ પ્રાપ્ત થશે. આ સાથે જ ફરી એકવાર પુરવાર થયું છે કે સગર્ભા બહેનો, ધાત્રી માતાઓ,કિશોરીઓ તેમજ નાના બાળકોની રાજ્ય સરકાર દરેક ક્ષેત્રે દરકાર લઈ તેમની સતત ચિંતા કરી રહી છે.

આંગણવાડીમાં ફરજ બજાવતા કાર્યકર બહેનોની ઉત્તમ કામગીરીને બિરદાવતા રાજ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે આંગણવાડીમાં આવતા બાળકોમાં સારા સંસ્કારોનું સિંચન થાય તેમજ બાળકનો સર્વાંગી વિકાસ થાય તે માટે કાર્યકર બહેનો સતત પ્રયત્નશીલ રહે છે. બાળકના આરોગ્યની દેખભાળ, રસીકરણ, રેફરલ સેવા, પોષણ, શિક્ષણ વગેરે બાબતે આ બહેનો બાળક માટે માતા યશોદાની ભૂમિકા ભજવે છે અને તેથી જ આંગણવાડી કાર્યકર અને હેલ્પર બહેનોને માતા યશોદાના ખિતાબથી નવાજવામાં આવે છે.
આ પ્રસંગે જિલ્લા કલેક્ટરશ્રી ડો.સૌરભ પારધી, મહાનગરપાલિકા કમિશનર શ્રી વિજય ખરાડી તથા જિલ્લા વિકાસ અધિકારી શ્રી મિહિર પટેલ દ્વારા પ્રાસંગીક ઉદબોધન કરાયું હતું.
કાર્યક્રમના સ્થળે મહાનુભાવોના હસ્તે બાળકોને પ્રતીકરૂપે હાઈજીનન કીટ તથા ગણવેશનું વિતરણ કરવામાં આવ્યું હતું.મહાનુભાવોની સ્વાગત વિધિ પ્રોગ્રામ ઓફિસર શ્રી ચંદ્રેશ ભાંભી દ્વારા કરાઈ હતી જ્યારે આભારવિધિ ગીતાબેન મારવાણીયા દ્વારા કરવામાં આવી હતી
આ પ્રસંગે જિલ્લા પંચયત પ્રમુખ શ્રી ધરમશી ચનિયારા, શહેર અધ્યક્ષશ્રી વિમલભાઈ કગથરા, સ્ટેન્ડિંગ કમટીના ચેરમેન શ્રી મનીષભાઈ કટારીયા, ડેપ્યુટી મેયર શ્રી તપનભાઈ પરમાર, દંડકશ્રી કેતનભાઈ ગોસરાણી, શાસકપક્ષના નેતાશ્રી કુસુમબેન પંડ્યા,શિક્ષણ સમિતિના ચેરમેનશ્રી લખધીરસિંહ જાડેજા, કલેકટરશ્રી સૌરભ પારધી, મહાનગરપાલિકા કમિશનર શ્રી વિજય ખરાડી, જિલ્લા વિકાસ અધિકારીશ્રી મિહિર પટેલ, ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર શ્રી વસ્તાણી, પ્રોગ્રામ ઓફિસર શ્રી ડો. ગૌરી તથા ડો. ચંદ્રેશ ભાંભી વગેરે ઉપસ્થિત રહ્યા હતાં.