રાજય સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય: જામનગર સહિત રાજયના 18 શહેરમાં રાત્રિ કરફ્યુમાં એક કલાકની રાહત: હવે 10 બાદ લાગુ થશે રાત્રિ કરફ્યુ

0
746

રાજય સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય: જામનગર સહિત રાજયના 18 શહેરમાં રાત્રિ કરફ્યુમાં એક કલાકની રાહત: હવે 10 બાદ લાગુ થશે રાત્રિ કરફ્યુ

લગ્ન પ્રસંગમાં 100 વ્યક્તિને છૂટ, વેપારીઓ માટે વેક્સિન ફરજિયાત, સિનેમાઘરો ખુલશે

36માંથી 18 શહેરોમાં રાત્રિ કર્ફ્યૂમાં એક કલાકની રાહત

રેસ્ટોરન્ટને 9 વાગ્યા સુધી 60 ટકા સિટિંગની ક્ષમતા સાથે મંજૂરી

અંતિમક્રિયા, દફનવિધિમાં 40 લોકોને મંજૂરી

મલ્ટિપ્લેક્સને 50 ટકા ક્ષમતા સાથે ખોલી શકાશે
નવા નિયંત્રણો અને ગાઈડલાઈનનો 27 જૂનથી અમલ

ગાંધીનગર: રાજય સરકારની આજે યોજાયેલી કોર કમિટીની બેઠકમાં શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચૂડાસમા, ઉર્જા મંત્રી સૌરભભાઇ પટેલ, ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજા, મુખ્ય સચિવ અનિલ મુકિમ, મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કે. કૈલાસનાથન, ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ પંકજ કુમાર, મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ એમ. કે. દાસ, આરોગ્ય વિભાગના અધિક મુખ્ય સચિવ મનોજ અગ્રવાલ, આરોગ્ય કમિશનર જયપ્રકાશ શિવહરે સહિત વિવિધ વિભાગોના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

આ બેઠકમાં લેવાયેલ નિર્ણય પ્રમાણે, રાજ્યની આઠ મહાનગરપાલિકા અને વાપી, અંકલેશ્વર, વલસાડ, નવસારી, મહેસાણા, ભરૂચ, પાટણ, મોરબી, ભુજ અને ગાંધીનગર એમ કુલ 18 શહેરોમાં રાત્રિ કર્ફ્યુ સહિતના નિયંત્રણો ચાલુ રહેશે.

આ 18 શહેરોમાં રાત્રી કર્ફ્યુનો સમય એક કલાક ઘટાડીને રાત્રે 10 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધીનો કરાયો છે. તેમજ રાજ્યના સિનેમાઘરો, મલ્ટીપ્લેક્ષ, ઓડિટોરિયમ 50 ટકાની ક્ષમતા સાથે ચાલુ કરી શકાશે.

તેમજ લગ્ન પ્રસંગમાં 100 લોકો સુધી ઉપસ્થિત રહી શકશે. નવા નિયંત્રણો અને ગાઈડલાઈનનો 27મી જૂનથી અમલ કરાશે.

આ 18 શહેરોમાં વ્યવસાયિકો પ્રવૃત્તિ ધરાવતા સંચાલકો, માલિકો, સ્ટાફ સહિત તમામે આગામી 30 જૂન સુધીમાં વેક્સિન ફરજિયાત લેવાની રહેશે.

રાજ્યના આ સિવાયના તમામ વિસ્તારોમાં વ્યવસાયિકો પ્રવૃત્તિ ધરાવતા સંચાલકો, માલિકો, સ્ટાફ સહિત તમામે આગામી 10 જુલાઇ સુધીમાં વેક્સિન ફરજિયાત લેવાની રહેશે.

આ 18 શહેરોમાં રેસ્ટોરન્ટ, હોટેલ્સ રાત્રે 9 વાગ્યા સુધી 60 ટકાની ક્ષમતા સાથે ચાલુ રાખી શકાશે. હોમ ડિલેવરી રાત્રે 12 કલાક સુધી ચાલુ રાખી શકાશે. આ 18 શહેરોમાં વ્યવસાયિક એકમો રાત્રિના 9 વાગ્યા સુધી ચાલુ રાખી શકાશે.