જામનગરના ‘માધવ રેસ્ટોરન્ટ’ના સંચાલક ભાઇઓ ઉપર હિચકારો હુમલો, એક ગંભીર

0
6317

જામનગરના ‘માધવ રેસ્ટોરન્ટ’ના સંચાલક ભાઇઓ ઉપર હિચકારો હુમલો, એક ગંભીર

  • 6 શખસો છરી-ધોકા જેવા ઘાતકી હથિયારો વડે તુટી પડ્યા: પોલીસ તપાસ શરૂ

દેશ દેવી ન્યુઝ જામનગર તા.૭ જૂન ૨૩ : જામનગરમાં જૂની અનુપમ સિનેમા ની જગ્યા ની બાજુમાં જ આવેલી માધવ રેસ્ટોરન્ટના સંચાલક બંધુઓ જીગ્નેશ જોગલ અને દર્શન જોગલ કે જેઓ પર ગઈ રાત્રે સાડા ત્રણેક વાગ્યાના અરસામાં હીચકારો હુમલો કરાયો હતો. પોતાના રેસ્ટોરન્ટ ની બહાર નીચેના ભાગે છ જેટલા શખ્સો બાઈકમાં આવ્યા હતા, અને છરી ધોકા વડે હુમલો કરી દેતાં જીગ્નેશભાઈ ને સાથળમાં છરી નો ઊંડો ઘા વાગ્યો હોવાથી રક્ત સ્રાવ થયો છે, અને જામનગરની જી.જી. હોસ્પિટલમાં સારવાર અપાઈ રહી છે, અને તેના પર સર્જરી થઈ રહી છે.

ઉપરાંત તેના ભાઈ દર્શન ઉપર પણ આડેધડ હુમલો કરાયો હોવાથી તેને જી.જી. હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર આપવામાં આવી છે. આ હુમલા ના બનાવની જાણ થતા મોડી રાત્રે પરિવારજનો જી.જી હોસ્પિટલમાં દોડી આવ્યા હતા. ઉપરાંત પોલીસને જાણ થવાથી સીટી બી. ડિવિઝનનો પોલીસ કાફ્લો પણ ઘટના સ્થળે અને જી.જી. હોસ્પિટલ દોડી ગયો હતો. હોટલ રેસ્ટોરન્ટ ની આસપાસની દુકાનના સીસીટીવી કેમેરાઓની મદદથી પોલીસે હુમલાખોર આરોપીઓ ને પકડવા માટેની કવાયત શરૂ કરી છે. છ જેટલા શખ્સો બાઇકમાં બેસીને આવ્યા હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે. સમગ્ર મામલામાં હુમલા અંગેની ફરિયાદ નોંધવા તેમજ આરોપીઓને પકડવા માટેના ચક્રો ગતિમાન કરાયા છે.