જામ્યુકોના ડબ્બામાં મરેલા પશુઓના આડેધડ થતા નિકાલ બાબતે કોર્પોરેટરની જનતા રેડ

0
2783

જામનગર મ્યુ. કોર્પો. દ્વારા ડબ્બામાં મરેલા પશુઓના આડેધડ થતા નિકાલ બાબતે કોંગી કોર્પોરેટરની જનતા રેડ

  • પ્રાણી કલ્યાણ બોર્ડના અધિકારીઓએ સ્થળ મુલાકાત કરીને સ્થિતિ સુધારવા સૂચના આપ્યા છતાં સ્થિતિ જેમની તેમ

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૮ ઓગસ્ટ ૨૪, જામનગર મહાનગરપાલિકા સંચાલિત ઢોરના ડબ્બામાં મૂંગા ગૌવંશ ની દેખભાળ બરોબર થતી ન હોવાની સ્થિતિની જાણ થતાં રાજ્યના પ્રાણી કલ્યાણ બોર્ડના સંયુક્ત અને મદદનીશ નિયામકોએ જાત તપાસ કરીને રાજ્ય સરકારને રીપોર્ટ કર્યો છે. તેમ છતાં સ્થિતિ સુધરી ન હોય તેમ રોજના ૧૦-૧૨ પશુઓ હજુ પણ મૃત્યુ પામે છે.

તેના મૃતદેહોના આડેધડ નિકાલ સાથે ગૌવંશના હાડકાનો કાળો કારોબાર એનિમલ ડેડબોડી ડિસ્પોઝલ સાઈટ ઉપર ચાલતો હોવાનો આક્ષેપ મહિલા કોર્પોરેટર રચનાબેન નંદાણીયાએ કરીને સ્થળની સ્થિતિની વીડીયો ગ્રાફી કરી ને વાયરલ કર્યો છે, જ્યારે આ મુદ્દો સંસદ સુધી પહોંચાડવા માટે પણ કાર્યવાહી કરાઈ છે. મહાનગરપાલિકાના વોર્ડ નંબર ચાર ના મહિલા કોર્પોરેટર રચનાબેન નંદાણીયા એ રણજીતસાગર ડેમ નજીક આવેલા કોર્પોરેશનના ઢોરના ડબ્બા ખાતે જઈને પશુઓ ને કેટલી ખરાબ અને ગંદકીભરી દયનિય હાલતમાં રાખવામાં આવે છે. તેની વીડીયો ગ્રાફી સાથેની રજુઆત તંત્રને તો કરી હતી સાથે સાથે તેઓએ સોશીયલ મીડીયાના માધ્યમથી સ્થિતીના વીડીયો વાયરલ કર્યા હતા.

જે બાદ રાજ્યના કૃષિ અને પશુપાલન કેબીનેટ મંત્રી રાઘવજીભાઈ પર્ટલની સૂચનાથી પ્રાણી કલ્યાણ બોર્ડના સંયુક્ત સચિવ આર.એ.વાળા અને મદદનીશ નિયામક ડી.પી. પટેલ જામનગર આવ્યા હતા અને સ્થિતિનો રાજ્ય સરકારને રિપોર્ટ કર્યો હતો.તેમજ મહાનગર પાલિકાને સ્થિતિ સુધારવાની મરેલા પશુઓ માટે એક સ્મશાન ભઠ્ઠી બનાવવાની સુચના આપી હતી. ત્યાર બાદ ગઈકાલે ઢોરના ડબા પર જનતા દરોડો કરનાર મહિલા કોર્પોરેટરે મહાનગરપાલિકાની એનિમલ ડેડબોડી ડિસ્પોઝલ સાઈટ પર જઈને સ્થિતિનો વિડિયો વાયરલ કર્યો છે.

સાથે સાથે તેઓએ જણાવ્યું છે કે, પશુ મૃતદેહ નિકાલની ગાઈડલાઈનનો ભંગ ગણાય તે રીતે પશુને દફનાવતી વેળાએ મીઠું નાંખ્યા વગર પશુઓને એકબીજા પર નાંખી દેવામાં આવે છે, અને ખાડો પૂરી દેવામાં આવે છે.આ ઉપરાંત થોડા દિવસ પછી જે તે ખાડામાંથી પશુઓને બહાર કાઢી તેના હાડકા લઈ લેવામાં આવતા હોવાનો તેઓએ આક્ષેપ કર્યો છે.

આ અંગે જનતા દરોડો કરનાર મહિલા નગરસેવિકા રચનાબેન નંદાણીયાએ જણાવ્યું હતું કે, દેશની સંસદમાં કોંગ્રેસના મહિલા સાંસદે ગૌ વંશનો મુદો ઉઠાવ્યો છે તેથી તેઓને પણ આ મામલે જાણ કરાઈ છે.