જામનગરના નાઘુના ગામમાં ઘરમાં ઘુસી મહિલાને માર મારવા પ્રકરણમાં હત્યાના આરોપી વિરૂદ્ધ બીજી ફરિયાદ

0
2367

જામનગર તાલુકાના નાઘુના ગામમાં ઘરમાં ઘુસી મહિલા ઉપર હિચકારો હુમલો: છ શખ્સ સામે ફરિયાદ

આ પ્રકરણના આરોપીઓએ આ પહેલા અન્ય એક શખસ પર જીવલેણ હુમલો કર્યો હતો જે મામલો હત્યામાં પલટાયો છે.

દેશ દેવી ન્યુઝ જામનગર 27.જામનગર તાલુકાના નાઘુના ગામમાં સામાકાંઠે રહેતાં વનિતાબેન ભગવાનજીભાઈ ઝાખરિયા નામના મહિલા સામે વિક્રમસિંહ ભૂપતસિંહ કેશુર વિરૂધ્ધ કરેલી અરજીનું મનદુ:ખ રાખી સોમવારે સાંજના સમયે વિક્રમસિંહ કેશુર, સંજયસિંહ ભૂપતસિંહ કેશુર, પ્રકાશસિંહ ભૂપતસિંહ કેશુર, ધાર્મિકસિંહ પ્રકાશસિંહ કેશુર, મોમન ઉર્ફે અલી ગોવિંદ દલસાણીયા, હંસા ઉર્ફે ટીનુ પ્રકાશસિંહ કેશુર સહિતના છ શખ્સોએ મહિલાના ઘરમાં ઘુસી અપશબ્દો બોલી માથાના ભાગે ધોકા વડે અને હાથમાં હુમલો કરી ઈજા પહોંચાડી હતી. ઉપરાંત મહિલા અને તેના પુત્ર કલ્પેશને મારી નાખવાની ધમકી પણ આપી હતી. હુમલાના બનાવમાં ઘવાયેલા મહિલાને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં બનાવની જાણ થતા પીએસઆઈ જે.ડી. પરમાર તથા સ્ટાફે છ શખ્સો વિરુઘ્ધ રાયોટીંગ અને હુમલાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. વધુમાં મળતી વિગત મુજબ, હુમલો કરનાર વિક્રમસિંહ કેશુર, સંજયસિંહ ભૂપતસિંહ કેશુર, પ્રકાશસિંહ ભૂપતસિંહ કેશુર, ધાર્મિકસિંહ પ્રકાશસિંહ કેશુર સહિતના આઠથી દશ શખ્સોએ સોમવારે સાંજના સમયે જામનગર તાલુકાના હર્ષદપુર ગામમાં પ્રેમ પ્રકરણમાં યુવક અને તેના કાકા ઉપર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. હુમલાના આ બનાવમાં ઘવાયેલા કાકા શિવુભા ભટ્ટીનું મોત નિપજતા બનાવ હત્યામાં પલ્ટાયો હતો. આ આરોપીઓએ એક જ દિવસમાં બે સ્થળે હુમલા કર્યાની ઘટના પોલીસ દફતરે નોંધાઇ છે.

આથી પોલીસે મહિલાની ફરિયાદ પરથી IPC – કલમ ૩૨૩, ૪૫૨, ૧૪૩, ૧૪૭, ૧૪૮, ૧૪૯, ૨૯૪ (ખ ) , ૫૦૬ ( ૨ ) તથા જી.પી. એકટ કલમ ૧૩૫ ( ૧ ) મુજબ ગુનોં નોંધી આગળની તપાસ પંચ-બી ના PSI જયદીપસિંહ પરમાર ચલાવી રહ્યા છે.