પિન્ક ફાઉન્ડેશન દ્વારા મહાશિવરાત્રિ પર્વ નિમિત્તે ‘શિવ શક્તિ અને સાધના’ ના ભવ્ય ઉત્સવનું આયોજન

0
1075

પિન્ક ફાઉન્ડેશન દ્વારા મહાશિવરાત્રિ પર્વ નિમિત્તે ‘શિવ શક્તિ અને સાધના’ ના ભવ્ય ઉત્સવ નું આયોજન

પંચોતેર દંપતીઓ દ્વારા પ્રથમ પ્રહરની(સાંજે 4 થી 9) નિઃશુલ્ક પૂજા, સોમનાથ મંદિરના શિખરની ધ્વજાજીના દર્શન મહાપ્રસાદ તથા બિહારીદાન ગઢવી અને સંગીતા બેન લાબડીયા નો સંતવાણીનો કાર્યક્રમ

દેશ દેવી ન્યુઝ જામનગર 28. જામનગરના પિન્ક ફાઉન્ડેશન પરિવાર તથા તેના પ્રણેતા શેતલબેન શેઠ દ્વારા મહાશિવરાત્રિ પર્વ નિમિતતે ‘શિવ આરાધના’નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેશે.

આગામી તા. ૧લી માર્ચ ર૦રર ના મંગળવારે મહાશિવરાત્રિ પર્વના દિવસે જામનગર મધ્યે ધન્વન્તરિ ગ્રાઉન્ડમાં ‘શિવ આરાધના ” શિર્ષક હેઠળ અનેક વિધ કાર્યક્રમો યોજાશે. જેમાં સાંજે ૪ વાગ્યે સમૂહ સત્સંગ, સાંજે ૬ વાગ્યે શિવપૂજા, રાત્રે ૮ વાગ્યે મહાનુભાવોના પ્રવચન, રાત્રે ૯ વાગ્યે સૌરાષ્ટ્રના સુપ્રસિદ્ધ લોકસાહિત્યકાર બિહારીદાન હેમુદાન ગઢવી અને સંગીતા બેન લાબડીયા દ્વારા સંતવાણીનો કાર્યક્રમ તથા મહાપ્રસાદ યોજાશે.

સુપ્રસિદ્ધ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના મંદિરના શિખર પર ચડાવાયેલી ધ્વજાજીની પધરામણી કરાવી તેના દર્શન યોજાશે. આ ઉપરાંત મહાશિવરાત્રિ પર્વમાં જેનું માહત્મ્ય છે તેવા ચાર પ્રહરની પૂજા પૈકી પ્રથમ પ્રહરની નિઃશુલ્ક પૂજા પંચોતેર દંપતી દ્વારા કરવામાં આવશે.

આ વિશિષ્ટ અને જામનગરમાં કદાચ સૌ પ્રથમ વખત થઈ રહેલ શિવ આરાધનાના આયોજન પ્રસંગે ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલ અધ્યક્ષસ્થાને ઉપસ્થિત રહેશે. અતિથિવિશેષ પદે સંસદસભ્ય પૂનમબેન માડમ, પૂર્વ મંત્રી અને ધારાસભ્ય આર.સી. ફળદુ, પૂર્વ મંત્રી અને ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા (હકુભા જાડેજા), જિલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઈ મુંગરા, શહેર ભાજપ અધ્યક્ષ ડો. વિમલભાઈ કગથરા, મુખ્ય અતિથિ તરીકે શહેર ભાજપ પૂર્વ પ્રમુખો સર્વશ્રી હસમુખભાઈ હિન્ડોચા, અશોકભાઈ નંદા, મુકેશભાઈ દાસાણી, નિલેશભાઈ ઉદાણી, હિતેનભાઈ ભટ્ટ, બિપિનભાઈ ઝવેરી, ધીરૂભાઈ કનખરા ઉપસ્થિત રહેશે.

શિવાલયોની છોટીકાશી તરીકે સુપ્રસિદ્ધ નવાનગર-જામનગરના આંગણે યોજાનાર શિવ આરાધનાના ઉત્સવમાં ભાવિકો, નગરજનોને ઉપસ્થિત રહેવા શેતલબેન શેઠ તથા પિન્ક ફાઉન્ડેશન પરિવાર તરફથી ભાવભર્યું નિમંત્રણ છે.