જ્યારે પણ દેશ પર મુશ્કેલીઓ આવી ત્યારે ક્ષત્રિય સમાજે પોતાનું બલિદાન આપીને દેશની રક્ષા કરી- પાટીલ..

0
2071

ઐતિહાસિક ભૂચર મોરી ખાતે શૌર્ય કથા સપ્તાહમાં ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી- સાંસદ સી.આર.પાટીલ ની પ્રેરક ઉપસ્થિતિ..જ્યારે પણ દેશ પર મુશ્કેલીઓ આવી ત્યારે ક્ષત્રિય સમાજે પોતાનું બલિદાન આપીને પણ દેશની રક્ષા કરી – સાંસદ  સી.આર.પાટીલ..ગુજરાતમાં ડ્રગ્સનું નેટવર્ક તોડવા સરકાર મક્કમતાથી કામગીરી કરી રહી છે – ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી..દેશ દેવી ન્યુઝ 31.જામનગર. ગુજરાત રાજપૂત યુવા સંઘ દ્વારા ધ્રોલના ભૂચર મોરી ખાતે શૌર્ય કથા સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં કથાના અંતિમ દિવસે સાંસદ સી.આર.પાટીલ તેમજ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની પ્રેરક ઉપસ્થિત રહી હતી.

આ પ્રસંગે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે ગુજરાતમાં ડ્રગ્સનું નેટવર્ક તોડવા સરકાર મક્કમતાથી કામગીરી કરી રહી છે. ડ્રગ્સની હેરાફેરી સાથે સંકળાયેલા લોકો વિરુદ્ધ છેલ્લા ત્રણ માસમાં સરકાર અને પોલીસ તંત્રએ નક્કર કામગીરી કરી આ બદીને સમાજમાંથી દૂર કરવાની કામગીરી અભિયાનના રૂપે હાથ ધરી છે. ગુજરાતની અસ્મિતાને નુકસાન પહોંચાડનારા દરેકને સાથે મળીને જવાબ આપવા ગૃહમંત્રીએ આ તકે આહવાન કર્યું હતું અને ભવિષ્યમાં સૌરાષ્ટ્રનું ખમીર જળવાય તે રીતે સૌ સાથે મળીને કામ કરીશું તો સમાજ, સૌરાષ્ટ્ર અને સમગ્ર રાજ્યનો વિકાસ થશે તેમ ઉમેર્યું હતું.ભૂચર મોરીની શૌર્ય ભૂમિ પર ઉપસ્થિત રહી ધન્યતા અનુભવું છું તેમ જણાવી સાંસદ સી.આર.પાટીલે કહ્યું હતું કે જ્યારે પણ દેશ પર મુશ્કેલીઓ આવી છે ત્યારે રાજપૂત સમાજે પોતાનું બલિદાન આપીને પણ દેશ અને દેશના લોકોની રક્ષા કરી છે અને આ પરંપરા રાજપૂત સમાજ આજે પણ જાળવી રહ્યો છે તે ગૌરવની બાબત છે.

આવનારી પેઢી સુધી શહીદ વીરોની શોર્યગાથા પહોંચે તે માટે કરેલ શૌર્ય કથા સપ્તાહના આયોજન બદલ ગુજરાત રાજપૂત યુવા સંઘ અને ડો.જયેન્દ્રસિંહ જાડેજાને સાંસદે આ તકે અભિનંદન પાઠવ્યા હતા તેમજ આવનારા સમયમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ક્ષત્રિયોનો ઈતિહાસ દર્શાવતું મ્યુઝિયમ બનાવવામાં આવશે તેમ જણાવ્યું હતું.

સમગ્ર કાર્યક્રમનું સંચાલન પ્રવિણસિંહ જાડેજા (લાખાણી), હિતેન્દ્ર સિંહ ચુડાસમા, ગજુભા જાડેજા તથા પી.એમ.જાડેજાએ કર્યું હતું.

આ પ્રસંગે પૂર્વ મંત્રી અને ધારાસભ્ય  ધર્મેન્દ્રસિંહ જાડેજા, અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા, પ્રદેશ ઉપાધ્યક્ષ મહેન્દ્રસિંહ સરવૈયા તથા ભરતભાઈ બોધરા, ડો.જ્યેન્દ્રસિંહ જાડેજા, પરાક્રમસિંહ જાડેજા, પી.ટી.જાડેજા, પૂર્વ ધારાસભ્ય  બ્રિજરાજસિંહ જાડેજા, જીલ્લા પંચાયતના લગધીરસિહ જાડેજા (રોજીયા) તથા  મેઘજીભાઈ ચાવડા, મેયર શ્રીમતી બીનાબેન કોઠારી, જિલ્લા પંચાયત પ્રમુખ ધરમશીભાઈ ચનીયારા, જિલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઈ મુંગરા, શહેર ભાજપ પ્રમુખ  વિમલભાઈ કગથરા,  રાજભા જાડેજા, ભાજપ મહામંત્રી વિજયસિંહ જેઠવા (બોબીભાઇ)  દીપકસિંહ ઝાલા સહિતના આગેવાનો તેમજ બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.