આમ આદમી પાર્ટીના જિલ્લા પંચાયતની ચૂંટણીના ઉમેદવારની “બનાવટી સરકારી દસ્તાવેજ” બનાવવાના ગુનામાં ધરપકડ

0
1137

આમ આદમી પાર્ટીના જિલ્લા પંચાયતની ચૂંટણીના ઉમેદવારની બનાવટી સરકારી દસ્તાવેજ બનાવવાના ગુનામાં ધરપકડ

કોર્ટે પણ મામલાની ગંભીરતા સ્વીકારી ત્રણ દિવસના રિમાન્ડ આપ્યા

જામનગર: લાલપુર તાલુકાના આમ આદમી પાર્ટીના સંગઠન મંત્રી અને સોસિયલ એક્ટિવિસ્ટ તરીકે સરકારી ઓફિસોમાં સતત દખલગીરી કરતા મોડપર ગામના રહેવાસી કિરણ ફફલ નામના શખ્સની જામનગર પોલીસ દ્વારા જિલ્લા મેજીસ્ટ્રેટશ્રીના બનાવટી લેટરપેડ પર આંદોલનની મંજૂરીનો પત્ર બનાવી સોશિયલ મીડિયા પર વાઇરલ કરવા બદલ ધરપકડ કરાતાં આ શખ્સના ગોરખ ધંધાનો પર્દાફાશ થયો છે અને આમ આદમી પાર્ટીની ધીમે ધીમે બની રહેલી આબરૂ પર ધબ્બો લાગ્યો છે.

બનાવની વિગત એવી છે કે, રીલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ સામે આંદોલન કરવા માટે આ શખ્સે કરેલી અરજીના જવાબમાં આંદોલન માટે જિલ્લા મેજીસ્ટ્રેટની પરવાનગી લેવાની હોતી નથી એવો જવાબ આપવામાં આવ્યો હતો.

આ ભેજાબાજ શખ્સે જિલ્લા મેજીસ્ટ્રેટનું બનાવટી લેટરપેડ બનાવી રાઉન્ડ સીલ સાથે આંદોલનની મંજૂરી આપવામાં આવી હોય તેવો પત્ર તૈયાર કરી સોશિયલ મીડિયામાં વાયરલ કરવાનો ગુનો આચર્યો હતો.

આ હકીકત ધ્યાનમાં આવતાં જ ચોંકી ઉઠેલા કલેક્ટરશ્રીએ પોતાના નાયબ મામલતદાર દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવેલ. પોલીસ તપાસમાં લાલપુર તાલુકાના આમ આદમી પાર્ટીના સંગઠન મંત્રી કિરણ ફફલ દ્વારા આ કાવતરું ઘડાયું હોવાની શંકાથી તેની ધરપકડ કરી રિમાન્ડ માટે કોર્ટ માં રજૂ કરાતા મ્હે. ન્યાયમૂર્તિશ્રી દ્વારા પણ બનાવની ગંભીરતા સ્વીકારી ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કરાયા હતા.

પોલીસની આગવી ઢબે થયેલી પૂછપરછ દરમિયાન આ કહેવાતા આગેવાન અને એક્ટિવિસ્ટે પોતાની ગેરકાયદે પ્રવૃત્તિના વટાણા વેરી નાખ્યા હતા અને પોતે જ આ બનાવટી પત્ર બનાવીને વાયરલ કર્યો હોવાનું સ્વીકાર્યું હતું.

સૂત્રો દ્વારા મળેલી માહિતી મુજબ, કિરણ ફફલની રીતિ-નીતિ અને ગતિવિધિઓથી તેનો પરિવાર પણ નારાજ હતો. પરિવારજનોએ એવું પણ કહેતા માલૂમ પડેલ કે, કિરણ આંદોલન કે મજૂરોના હિતની જે વાતો કરે છે તે ખરેખર સામાજિક હેતુથી નહીં, પરંતુ પોતાનો સ્વાર્થ સાધવા કરે છે. કુટુંબની તથા મિત્રોની સમજાવટ છતાં કિરણ ફફલ સતત પોતાનો અંગત હેતુ સાધવા આવી ગતિવિધિઓ કરતો હોવાનું બહાર આવ્યું છે.

આમ આદમી પાર્ટી એ આવા કલંકિત લોકોથી પક્ષની છબી ખરડાતી રોકવા તથા ડેમેજ કંટ્રોલ કરવા તાત્કાલિક ધોરણે તેને સસ્પેન્ડ કર્યો હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. જો કે પાર્ટીએ આ અંગે કોઈ અખબારી નિવેદન આપ્યું હોવાનું ધ્યાને આવતું નથી.