રિસામણે બેઠેલી પત્નીને મળવા જતા મીઠાપુરના યુવાનની નિર્મમ હત્યા.

0
606

દેવભૂમિ દ્વારકા જીલ્લામાં વધુ એક ખુની ખેલ : રિસામણે બેઠેલી પત્નીને મળવા જતા મીઠાપુરના યુવાનની નિર્મમ હત્યા.

દ્વારકા: દ્વારકાના નરસંગ ટેકરી વિસ્તારમાં રહેતા ખેંગારભા સુમલાભા માણેક નામના આશરે 35 વર્ષના હિન્દુ વાઘેર યુવાનને તેમની ધર્મપત્ની સમજુબેન સાથે કોઈ બાબતનું મનદુ:ખ હોય, છેલ્લા આશરે બે માસથી સમજુબેન તેઓના પાંચ વર્ષિય પુત્ર આર્યન સાથે પોતાના માવતરે રિસામણે બેઠી હતી.

આ દરમિયાન ગત રાત્રીના આશરે સવા વાગ્યાના સમયે ખેંગારભા માણેક પોતાના માવતર રહેલા પત્ની સમજુબેનને મળવા સુરજકરાડીના શક્તિનગર વિસ્તારમાં જતા કોઈ કારણોસર ઉશ્કેરાઈ ગયેલા તેમના પત્ની સમજુબેન, સાળા ખેંગારભા બુધાભા ભઠડ અને સાસુ ધનબાઈ બુધાભા ભઠડ પાઈપ, કુહાડી જેવા હથિયારો વડે તૂટી પડયા હતા.

પત્નીના રિસામણે હોવા બાબતનો ખાર રાખી, તીક્ષ્ણ અને ઘાતક હથિયારો વડે ખેંગારભાઈ માણેક પર સાસુ, સાળા અને પત્નિ તૂટી પડતાં તેઓ ઘટના સ્થળે જ ફસડાઈ પડયા હતા અને લોહીલુહાણ હાલતમાં તેમનું મૃત્યુ નિપજ્યું હતું.

આ બનાવ બનતા દ્વારકાના પી.આઈ. પી.બી. ગઢવી તથા મીઠાપુરના પી.એસ.આઇ. સહિતનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો અને મૃતક ખેંગારભાના મુતદેહનો કબજો મેળવી પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી કરી હતી.

આ બનાવ અંગે મૃતકના મોટાભાઈ કનુભા સુમભા ઉર્ફે સુમલાભા માણેક (ઉ.વ. 37, રહે. નરસંગ ટેકરી, દ્વારકા) ની ફરિયાદ પરથી મીઠાપુર પોલીસે મૃતકની પત્ની સમજુબેન, સાળા ખેંગારભા તથા સાસુ ધનબાઈ સામે આઇ.પી.સી. કલમ 302, 114 તથા જી.પી. એક્ટ મુજબ ગુનો નોંધી ઉપરોક્ત આરોપીઓને ઝડપી લેવા માટેની તજવીજ હાથ ધરી છે.

ત્યારે આ બનાવ સંદર્ભે અહીંના ડીવાયએસપી હિરેન્દ્ર ચૌધરીના વડપણ હેઠળ ડોગ સ્કવોડ તથા એફ.એસ.એલ.ના નિષ્ણાંતોની મદદ પણ લેવામાં આવી છે. આ પ્રકરણના આરોપીઓ નજીકના સમયગાળામાં ઝડપાઈ જવાની શક્યતા પોલીસ તંત્ર દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.

સાસરિયાઓ દ્વારા જમાઈની નિર્મમ હત્યા આ બનાવે ઓખા મંડળ સાથે સમગ્ર દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ભારે ચકચાર જગાવી છે.