જામનગર સાત રસ્તા ઓવરબ્રિજના કામ સંદર્ભે ૫૦ દિવસનું વધુ એક જાહેરનામું

0
1

જામનગરમાં સાત રસ્તા સર્કલ પાસે ઓવરબ્રિજ ના કામ સંદર્ભે આવતીકાલ થી ૫૦ દિવસ માટેનું વધુ એક જાહેરનામું બહાર પડાયું

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૪, માર્ચ ૨૫ જામનગર મહાનગરપાલિકા દ્વારા સાત રસ્તા સર્કલ થી સુભાષ બ્રિજ માટેના ઓવરબ્રિજ નું કામ ચાલી રહ્યું છે, ત્યારે સાત રસ્તા સર્કલ પાસે બ્રિજ ના ઓવરહેડ કામના સંદર્ભમાં વાહન વ્યવહાર માટે મ્યુનિ. કમિશનર દ્વારા આવતીકાલ તારીખ ૫ થી આગામી ૨૫.૪.૨૦૨૫ સુધી ૫૦ દિવસ માટેનું વધુ એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.જામનગર મહાનગરપાલિકાના મ્યુનિ. કમીશનર ડી.એન. મોદી દ્વારા ધ બી.પી.એમ.સી. એક્ટ ૧૯૪૯ ની કલમ – ૨૩૬ ની જોગવાઈ હેઠળ વધુ એક જાહેરનામું પ્રસિદ્ધ કરી જણાવાયું છે કે જામનગર મહાનગરપાલિકા ની હદમાં ‘સાત રસ્તાથી સુભાષ બ્રીજ સુધીના માર્ગ પર ફોર લેન એલીવેટેડ ફ્લાયઓવર બ્રીજ બનાવવાની કામગીરી અંતર્ગત જાડા બિલ્ડીંગથી સાત રસ્તા સર્કલને જોડતા કનેકટીંગ સ્લેબની કામગીરી અનુસંધાને સાત રસ્તા સર્કલથી ગૌરવપથ, સુમેર ક્લબ, જનતા ફાટક તથા ખંભાળિયા રોડ તરફનો રોડ સલામતીના ભાગરૂપે તેમજ અકસ્માત નિવારવાના હેતુથી તા.૦૫.૦૩.૨૦૨૫ થી ૨૫.૦૪.૨૦૨૫ સુધીના સમયગાળા દરમ્યાન તમામ વાહન વ્યવહાર ડાયવર્ટ કરવા જાહેર નોટીસ બહાર પાડવામાં આવી છે.જેનો અમલ કરવાનો હુકમ ફરમાવાયો છે. જે કોઈ વ્યક્તિ આ હુકમનો ભંગ કરશે તેની સામે ધ બી.પી.એમ.સી. એક્ટ ૧૯૪૯ ની કલમ – ૩૯૨ અનુસાર દંડની કાર્યવાહી કરવામાં આવશે.ટુ વ્હીલર તથા તમામ પ્રકારના નાના વાહનો માટેની વૈકલ્પિક ટ્રાન્સપોર્ટ વ્યવસ્થા કરવામાં આવી છે જેમાં (૧) ખંભાળિયા રોડથી સાત રસ્તા થઇ ગૌરવપથ, સુમેર ક્લબ, જનતા ફાટક તથા ખંભાળિયા રોડ તરફ જવા માટે ડાયવર્ઝન રૂટ મુજબ વાલ્કેશ્વરી નગરી ડો. તકવાણી હોસ્પિટલ પાસેના ઓવરબ્રીજ નીચેથી શ્રીજી ફર્નીચર તરફથી સાત રસ્તા થઈ ગૌરવપથ, સુમેર ક્લબ, જનતા ફાટક તથા ખંભાળિયા રોડ તરફ જઈ શકાશે. જ્યારે (૨) ગુરુદ્વારા જંકશન તરફથી સાત રસ્તા સર્કલ તરફનો માર્ગ ખુલ્લો રહેશે. અને (૩) વાલ્કેશ્વરી નગરી આદર્શ હોસ્પિટલ પાસેનો રસ્તો વાહન વ્યવહાર માટે બંધ રહેશે.આ ઉપરાંત ભારે વાહનો માટેની વૈકલ્પિક ટ્રાન્સપોર્ટ વ્યવસ્થા પણ ગોઠવાઈ છે. જેમાં (૧) સાત રસ્તા સર્કલથી ગુરુદ્વારા જંકશન થઇ લાલ બંગલો સકલ થઇ ટાઉનહોલ થઇ તીનબત્તી સર્કલ થઇ કે.વી. રોડ પરથી સુભાષબ્રીજ પર જઈ શકાશે., અને (૨) સુભાષબ્રીજથી ત્રણ દરવાજા સર્કલ થઇ ટાઉનહોલ થઇ લાલબંગલા સર્કલ થઈ સાત રસ્તા સર્કલ જઈ શકાશે.