જામનગરમાં DP કપાતના મુદ્દે ગાંધી સ્ટાઇલ થી મૌન રેલી

0
4567

જામનગરમાં ગાંધીનગર થી સ્વામિનારાયણ નગર સુધી નો ડીપી રોડ કાઢવા માટે ૩૩૧ મકાનો દુર કરવા નું પ્રકરણ

  • ડીપી કપાત અટકાવવાના મુદ્દે આગામી ૨ ઓક્ટોબરને ગાંધી જયંતિથી ગાંધી સ્ટાઈલથી અસરકર્તાઓ દ્વારા લડતના મંડાણ
  • બીજી ઓક્ટોબરે આશાપુરા મંદિરથી સ્વામિનારાયણનગર સુધી સવારે ૮:૩૦ વાગ્યે મૌન રેલી નિકળશે

દેશ દેવી ન્યૂઝ જામનગર ૧ ઓક્ટોબર ૨૪ જામનગરમાં સ્વામીનારાયણ નગરથી ગાંધીનગર વિસ્તાર સુધીના ડીપી કપાત રોડને કાઢવા માટે નવાગામ ઘેડથી ગાંધીનગર વિસ્તારના ૩૩૧ મકાનોને તોડવાની તંત્રની તૈયારી સામે સ્થાનિક લોકોએ સંગઠિત થઈને લડત સમિતિ બનાવી છે, જે સમિતિ દ્વારા આવતી કાલે ગાંધી જયંતિના દિવસ તા. ૨ ઓક્ટોબરની સવારે ૮:૩૦ વાગ્યે ગાંધીનગરના આશાપુરા માતાજીના મંદિર સામેથી સ્વામીનારાયણનગર સુધીની મૌન રેલી યોજીને લોક લડતનો આરંભ કરવાની નિર્ધાર કર્યો છે.

મનપા દ્વારા વર્ષ ૨૦૧૯માં નવાગામ ઘેડ-ગાંધીનગર વિસ્તારના ૫૦૦થી વધુ રહિશોને ૩૦ મીટરનો ડીપી રોડ કાઢવા આખા મકાનો અથવા તેના હિસ્સા દુર કરવા નોટીસો અપાઈ હતી. પરંતુ લોકજુવાળ પેદા થઈ ગયો હતો, અને સ્થાનિક વિસ્તારના લોકો એ મહાનગર પાલિકાના તંત્રને આવેદન આપી, કમિશનરને મૌખિક રજુઆતો કરીને આ કપાત રોકવા માંગણી કરી હતી. સાથે સાથે હાઈકોર્ટમાં પણ જાહેર હિતની અરજી કરી હતી. જેમાં ૨૪૧ લોકો જોડાયા હતા. ત્યારબાદ આ પ્રકરણ ટાઢું પડી ગયું હતું. પરંતુ હવે ફરી કોર્પોરેશને અગાઉના ૩૦ મીટરવાળા ડીપી રોડને ૧૨ મીટર કર્યા બાદ કપાતમાં આવતા ૩૩૧ આસામીઓના મકાનો દુર કરવા નોટીસ આપી છે. ત્યારે સ્થાનિક નાગરિકોએ તાજેતરમાં જ તંત્ર દ્વારા બોલાવાયેલી બેઠકમાં અંદાજે ૧૭૫થી વધુ લેખિત વાંધા રજુ કર્યા છે. મોટાભાગના લોકોએ તંત્રને આ કપાત અટકાવવા રજુઆતો કરી છે.

તંત્ર સામે હવે લોકો સંગઠીત થયા છે, અને આવતી કાલે ગાંધી જયંતિના દિવસે મૌન રેલી દ્વારા ગાંધીજી ની લડત ને અનુસરીને જામનગર મહાનગરપાલિકા સામે લડતના મંડાણ કર્યા છે. તેમ લડત સમિતિના કન્વિનર વિજયસિંહ જાડેજાએ જણાવ્યું છે, અને તમામ સ્થાનિક આધારકર્તાઓને મૌન રેલીમાં જોડાવા આહવાન કર્યું છે.