લાલપુર : પ્રેમ સંબંધમાં ગુમસૂમ રહ્યા પછી યુવાનનો ઝેર પી લઈ આપઘાત

0
4976

લાલપુર તાલુકાના નવી વેરાવળ ગામના એક યુવાને પ્રેમ સંબંધમાં ગુમસૂમ રહ્યા પછી ઝેર પી લઈ આપઘાત

દેશ દેવી ન્યુઝ  જામનગર તા ૧૩, સપ્ટેમ્બર ૨૪ જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના નવી વેરાવળ ગામના એક યુવાને પ્રેમ સંબંધ ના કારણે છેલ્લા બે દિવસથી ગુમસૂમ બની ગયા પછી ઝેરી દવા પી લઇ આત્મહત્યા કરી લીધી છે. જેથી ભારે ચકચાર જાગી છે. આ બનાવની વિગત એવી છે કે લાલપુર તાલુકાના નવી વેરાવળ ગામમાં રહેતા ભરત પરબતભાઈ કરમુર નામના ૩૦ વર્ષના યુવાને ગઈકાલે પોતાના ઘેર પાકમાં છાંટવાની ઝેરી દવા પી લેતાં તેને સારવાર માટે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ટૂંકી સારવાર દરમિયાન તેનું ગઈ રાત્રે મૃત્યુ નીપજ્યું છે.

આ બનાવ અંગે મૃતકના મોટાભાઈ ભીખાભાઈ પરબતભાઈ કરમુરે પોલીસને જાણ કરતાં લાલપુરના પોલીસ હેડ કોન્સ્ટેબલ એ.એમ. જાડેજા જી.જી હોસ્પિટલમાં દોડી આવ્યા હતા, અને મૃતદેહનો કબજો સંભાળી વધુ તપાસ હાથ ધરી હતી.

પોલીસ ની પ્રાથમિક પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું હતું, કે મૃતક યુવાનને છેલ્લા કેટલાક સમયથી સુરતમાં રહેતી પરિચિત એવી એક યુવતી સાથે પ્રેમ સંબંધ બંધાયો હતો, પરંતુ છેલ્લા બે દિવસથી પ્રેમ પ્રકરણમાં પોતે ગમસૂમ રહેતો હતો  અને તેના કારણે ઝેર પી લીધું હોવાનું જણાવાયું છે. જે મામલે પોલીસ ઊંડાણપૂર્વકની તપાસ ચલાવે છે.