જામનગરમાં રાજપૂત યુવકને વિજ આંચકો લાગતાં અપમૃત્યુ

0
4245

જામનગરના લાલવાડી વિસ્તારમાં સિક્યુરિટી ગાર્ડ ને વરસાદના ભરાયેલા પાણીની વચ્ચે વીજપોલમાંથી વીજ આંચકો લાગતાં અપમૃત્યુ

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૨ સપ્ટેમ્બર ૨૪ જામનગરમાં લાલવાડી વિસ્તારમાં રહેતા અને જી.જી. હોસ્પિટલમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતા એક યુવાનને પોતાના ઘર પાસે પાણી ભરાયા હોવાથી વરસાદી સિઝનમાં વિજ થાંભલા ને અડી જવાથી વિજ આંચકો લાગ્યો હોવાથી તેનું મૃત્યુ નીપજ્યું છે.

આ બનાવની વિગત એવી છે કે જામનગરના લાલવાડી વિસ્તારમાં શાંતિ વિલા સોસાયટી શેરી નંબર-૧માં રહેતા અને જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતા કનકસિંહ રવુભા જાડેજા (ઉંમર વરસ ૪૮) કે તેઓ ગત ૨૮ મી તારીખે વરસાદ ચાલુ હોવાથી પોતાના ઘર પાસે પાણી ભરાયા હતા, ત્યાંથી પગપાળા ચાલીને પાણીમાંથી પસાર થઈ રહ્યા હતા.

તે દરમિયાન એક થાંભલાને અડી જતા તેને વિજ આંચકો લાગ્યો હતો ,અને બેશુદ્ધ બન્યા હતા. આ બનાવ પછી તેના પરિવારજનોએ તાત્કાલિક અસરથી સારવાર માટે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં પહોંચાડયા હતા, પરંતુ ફરજ પરના તબીબે તેનું મૃત્યુ નીપજ્યું હોવાનું જાહેર કર્યું હતું.

આ બનાવ અંગે મૃતક ના સંબંધી મયુરસિંહ પ્રવીણસિંહ જાડેજાએ પોલીસને જાણ કરતાં સીટી એ. ડિવિઝનના પોલીસ હેડ કોન્સ્ટેબલ આર.ડી ગાંભવા બનાવના સ્થળે તેમજ જીજી હોસ્પિટલે દોડી ગયા હતા, અને મૃતદેહનો કબજો સંભાળી પોસ્ટ મોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી છે.