કલ્યાણપુર તાલુકાના ખોબા જેવડા ભોગાત ગામમાં સોની પરિવારમાં ભારે કરુણા જનક કિસ્સો
-
બીમાર પત્ની થી કંટાળેલા પતિએ મોડી રાત્રે પત્ની ના માથામાં માર માર્યા પછી પત્નીનું કાસળ કાઢી નાખ્યું
-
વહેલી સવારે મૃત પત્ની ને ત્રણ સંતાનો જોઈ જાય તે પહેલા મંદિરે દર્શને મોકલી પોતે પણ ગળાફાંસો ખાઈ જીવ દીધો
દેશ દેવી ન્યૂઝ કલ્યાણપુર તા ૧૮ જુન ૨૪, દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના ખોબા જેવડા ભોગાત ગામમાં રહેતા એક સોની પરિવારમાં ભારે કરુણાંતિકા સર્જાઇ છે, અને પતિએ પોતાની બીમાર પત્નીનું કાસળ કાઢી નાખ્યા પછી તેના ત્રણ સંતાનો મૃત માતાને જોઈ જાય તે પહેલાં દર્શનાર્થે મોકલી દીધા પછી પોતે પણ ગળાફાંસો ખાઈ પોતાની જીવન લીલા સંકેલી લીધી હતી. પતિ પત્ની બંનેના મૃત્યુના બનાવને લઈને ત્રણેય બાળકો નોંધારા બન્યા છે, જે બનાવને લઈને કલ્યાણપુર નો પોલીસ કાફલો દોડતો થયો હતો, અને સમગ્ર પંથકમાં ભારે આરેરાટી ફેલાઈ છે.
આ કરુણા જનક બનાવના કિસ્સાની વિગત એવી છે કે કલ્યાણપુર તાલુકાના ભોગાત ગામમાં રહેતા શૈલેષભાઈ નાથાભાઈ ઘઘડા નામના ૪૦ વર્ષના સોની યુવાને ગઈ રાત્રિ દરમિયાન પોતાની પત્ની જશુબેન કે જેને માથાની બીમારી હોવાથી જે બીમારી થી પોતે કંટાળી ગયો હતો, અને પત્ની પર રાત્રિના સમયે હિચકારો હુમલો કરી દીધો હતો, અને સૂઈ ગયો હતો.
દરમિયાન વહેલી સવારે પત્નીને ઉઠાડતાં ઉઠી ન હતી, અને બનાવ હત્યામાં પલટાયો હતો. દરમિયાન વહેલી સવારે શૈલેષ ના ત્રણ સંતાનો જેમાં એક બાબો અને બે બેબી કે જે ત્રણેય ને ઉઠાડીને વહેલી સવારે મંદિરે દર્શન કરવા માટે મોકલી આપ્યા હતા. ત્યારબાદ પોતે પણ ઘરમાં ગળા ફાંસો ખાઈ લઇ આત્મહત્યા કરી લીધી હતી.
ત્રણેય સંતાનો દર્શન કરીને પરત ફરતાં સમગ્ર મામલાની જાણ થવાથી ત્રણેય બાળકોએ હૈયાફાટ રુદન કર્યું હતું, અને આડોશી પાડોશીઓ એકત્ર થઈ ગયા હતા. ત્યારબાદ ઘટનાની જાણ થતાં કલ્યાણપુરના મહિલા પીએસઆઇ ઉષાબેન સહિતની પોલીસ ટુકડી ઘટના સ્થળે દોડી ગઈ હતી, અને સમગ્ર મામલાની ઊંડાણપૂર્વકની તપાસ શરૂ કરી છે. મૃતક પતિ સામે પોલીસે હત્યા અંગેનો અપરાધ નોંધવા માટે કાર્યવાહી હાથ ધરી છે.
પતિ અને પત્ની બંનેના મૃત્યુને લઈને તેના ત્રણ માસુમ સંતાનો નોંધારા બન્યા છે, અને બંને એકી સાથે માતા-પિતા બંનેનું છાત્ર ગુમાવ્યું છે. જેથી નાના એવા ભોગાત ગામમાં ભારે કરુંણાંતિકા છવાઈ છે.