જામનગર માં મોડી રાત્રે અનૈતિક સંબંધમાં યુવાનની હત્યા

0
13589

જામનગરના ધરાર નગર વિસ્તારમાં આઠ માળિયા આવાસમાં રહેતા યુવાનની મોડી રાત્રે હત્યા

  • અનૈતિક સંબંધો ના કારણે બે શખ્સોએ છરી વડે હુમલો કરી યુવાનને મોતને ઘાટ ઉતાર્યો

  • હત્યા ના બનાવમાં મૃતકની પત્નીની પણ શંકાસ્પદ ભૂમિકા: પોલીસ દ્વારા ઊંડાણપૂર્વકની તપાસ

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૭ જૂન ૨૪, જામનગરમાં ધરાર નગર વિસ્તારમાં આવેલા વીર સાવરકર આવાસમાં આઠમાળના બિલ્ડિંગના ચોથા માળે રહેતા એક યુવાન પર મોડી રાત્રે છરી વડે હુમલો કરી હત્યા નિપજાવાઈ છે. જેમાં અનૈતિક સંબંધો કારણભૂત હોવાનું સામે આવ્યું છે. અને બે શખ્સોએ છરી વડે હુમલો કરી હત્યા નિપજાવી હોવાનું પોલીસમાં જાહેર થયું છે. જ્યારે મૃતકની પત્નીની પણ આ બનાવમાં શંકાસ્પદ ભૂમિકા હોવાથી પોલીસ તે દિશામાં પણ તપાસ કરી રહી છે.આ ચકચાર જનક હત્યાના બનાવની વિગત એવી છે કે જામનગરમાં ધરારનગર નજીક વીર સાવરકર આવાસ ના અઠમાળીયા બિલ્ડિંગના ચોથા માળે ભાડા ના ફ્લેટમાં રહેતા ઇકબાલભાઈ ગનીભાઈ કુરેશી નામના ૩૫ વર્ષના યુવાન પર ગઈ રાત્રે ૧૨.૩૦ વાગ્યાના અરસામાં બે શખ્સોએ છરીના પાંચ જેટલા ઘા ઝીંકી દઈ જીવલેણ હુમલો કરી દેતાં તેનું પોતાના ઘરમાં જ મૃત્યુ નિપજ્યું હતું, અને આ બનાવ હત્યામાં પલટાયો હતો.આ બનાવ અંગે મૃતકના ભાઈ ગુલામહુસૈન ગનીભાઈ કુરેશી એ પોલીસને જાણ કરતાં સિટી બી. ડિવિઝન પોલીસ સ્ટેશનનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો, અને મૃતદેહનો કબ્જો સંભાળી પોસ્ટ મોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી છે, જયારે બે શખ્સો સામે હત્યા અંગેનો ગુનો નોંધ્યો છે. પોલીસમાં જાહેર કરાયા અનુસાર મૃતક ઈકબાલભાઈ ની પત્ની કરિશ્માબેન કે જેને નવાગામ ઘેડ વિસ્તારમાં રહેતા ઈમ્તિયાઝ બસીરભાઈ જોખિયા નામના શખ્સ સાથે અનૈતિક સંબંધો હતા, અને તેમાં પતિ આડખીલી રૂપ હોવાથી તેનો કાંટો કાઢી નાખવા માટે આ હત્યા નીપજાવાઈ હોવાનું પોલીસને જણાવાયું છે. મૃતક ના ભાઈ ગુલામહુસેન ની ફરિયાદ ના આધારે ઈમ્તિયાઝ બસીર ભાઈ જોખ્યા અને તેના કિશન નામના સાગરીત સામે હત્યા અંગેનો અપરાધ નોંધ્યો છે.સાથો સાથ મૃતક ની પત્ની કરીશમાં ને પણ આ હત્યાના બનાવમાં શંકા ના દાયરામાં રાખી છે, અને પોલીસ દ્વારા ઊંડાણપૂર્વકની તપાસ ચલાવવામાં આવી રહી છે.મૃતક ઇકબાલ ડ્રાઇવિંગ કરતો હતો, અને તેના કરિશ્મા સાથે લગ્ન થયા પછી તેને ત્રણ સંતાનો છે. જે પૈકી એક સંતાન મૃતક ના માતા પાસે રહે છે, બીજું સંતાન કરિશ્મા પાસે હતું, અને ત્રીજુ સંતાન મૃતક ના ભાઈ સાચવતા હતા. જયારે કરિશ્મા પોતાના પતિ ઇકબાલથી અલગ નવાગામ ઘેડ વિસ્તારમાં રહેતી હતી. જ્યાં ઇમ્તિયાઝ પણ રહે છે.

ગઈ રાત્રે અચાનક કરિશ્મા પોતાના પતિ ઈકબાલના ઘેર મોડી રાતે આવી હતી, ત્યારબાદ થોડી વારમાં જ આરોપી ઈમ્તિયાઝ અને તેનો સાગરીત કિશન આવી પહોંચ્યા હતા, અને ઇકબાલ પર છરીના પાંચ ઘા ઝીંકી દઈ હત્યા નીપજાવી હતી. જે સમગ્ર બનાવની પોલીસ ઉંડાણપૂર્વકની તપાસ ચલાવી રહી છે.