ધ્રોલના ચકચારી રાજપૂત યુવાન હત્યા પ્રકરણના સાક્ષીને ધમકીના બનાવથી ભારે ચકચાર

0
8469

ધ્રોલના ચકચારી રાજપૂત યુવાન હત્યા પ્રકરણના સાક્ષીને ધમકીના બનાવથી ભારે ચકચાર

  • હત્યા કેસ ના આરોપી સાથે સમાધાન કરી લેવા માટે દબાણ કર્યાની અને શાર્પ શૂટર મારફતે પતાવી દેવાની ધમકી અપાઈ

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૧૪ મે ૨૪ જામનગર જિલ્લાના ધ્રોલમાં પેટ્રોલ પંપ પર રાજપૂત યુવાનના મર્ડર પ્રકરણમાં નવો વળાંક આવ્યો છે.જે હત્યા કેસના એક સાક્ષીને આરોપી સાથે સમાધાન કરી લેવા બાબતે જામનગરની કોર્ટ કમ્પાઉન્ડમાં આરોપીના એક મળતીયાએ ધાકધમકી આપી હતી, અને આરોપી સાથે સમાધાન નહીં કરી લે તો શાર્પ શુટર મારફતે પતાવી દેવાની ધમકી આપ્યા નો મામલો સિટી એ. ડિવિઝન પોલીસ મથકમાં પહોંચ્યો છે. જે મામલે પોલીસ વધુ તપાસ ચલાવે છે.

આ બનાવની વિગત એવી છે કે જામનગર જિલ્લાના ધ્રોલમાંથી ચાર વર્ષ પહેલાં દિવ્યરાજસિંહ જાદુવીરસિંહ જાડેજા નામના રાજપૂત યુવાનની પેટ્રોલ પંપ પાસે સરા જાહેર હત્યાં નીપજાવાઈ હતી. જે હત્યા અંગેનો કેસ જામનગરની અદાલતમાં ચાલી રહ્યો છે, અને તે કેસમાં જામનગરના રામેશ્વર નગર વિસ્તારમાં રહેતા અજયરાજસિંહ ઘનશ્યામસિંહ જાડેજા કે જે સાહેદ તરીકે છે.જે કેસની જામનગરની અદાલતમાં તારીખ હોવાથી અજયરાજસિંહ જાડેજા હાજર રહ્યા હતા અને પોતાનું એકટીવા સ્કૂટર અદાલત પરિસરમાં પાર્ક કરીને ત્યાં ઉભા હતા. જે દરમિયાન હુમલા ખોર આરોપી ઓમદેવસિંહના એક મળતીયા નરેન્દ્રસિંહ હરદેવસિંહ ઝાલા કે જે ધ્રોલમાં ત્રિકોણબાગ પાસે રહે છે, તેણે આવી અને ધાકધમકી આપી હતી, અને કહ્યું હતું કે હું તને શોધી રહ્યો છું, તેમ કહી પેન્ટના નેફામાંથી છરી બતાવીને ઘાકતમકી આપી હતી, અને હત્યા કેસના આરોપી ઓમદેવસીહ અમારા મિત્ર છે, તું દેવુભાના મર્ડર કેસમાં ઓમદેવસિંહ સાથે સમાધાન કરી લેજે, તેમ કહી ફરી ધમકી આપી હતી.

જો સમાધાન નહીં કરે તો બહારથી શાર્પ સુટરને બોલાવીને તારું મર્ડર કરાવી નાખીશ. તેવી ધમકી આપી હતી. એક મર્ડર માં હું સંડોવાયેલો છું, અને બીજું તને પણ પતાવી દેવો છે, અને જીવતો નહીં રહેવા દઉં. તેમ કહીને ધમકી આપતાં ફરીયાદી અજયસિંહ જાડેજા કે જેણે જામનગરના સીટી એ. ડિવિઝન પોલીસ મથકનો સંપર્ક સાધ્યો હતો, અને ધ્રોળ ના નરેન્દ્રસિંહ ઝાલા સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે આરોપી સામે આઈપીસી કલમ ૫૦૪,૫૦૬-૨ તેમજ જીપીએક્ટ કલમ-૧૩૫ મુજબ ગુનો નોંધ્યો છે, અને વધુ તપાસ હાથ ધરી છે.