જામનગરમાં લગ્નનો ચાંદલો ‘માતમ’ માં ફેરવાયો

0
4027

જામનગર- રાજકોટ ધોરી માર્ગ પર ફલ્લા નજીક જાનૈયાઓ ભરેલો બોલેરો પલટી મારી જતાં એક આધેડનું મૃત્યુ : અન્ય ૧૦ ઘાયલ

  • સિક્કા-સરમત વિસ્તારમાંથી લગ્નનો ચાંદલો લઈને જઈ રહેલા જાનૈયા પરિવારને ફલ્લાની ગોળાઈ માં નડ્યો અકસ્માત

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૧૩ મે ૨૪, સિક્કા-સરમત વિસ્તારમાં રહેતો એક પરિવાર બોલેરોમાં લગ્નનો ચાંદલો લઈને બોટાદ જઈ રહ્યો હતો, દરમિયાન વહેલી સવારે ફલ્લાની ગોલાઈ પાસે અકસ્માત નડ્યો હતો, અને બોલેરો પલટી મારી જતા તેમાં બેઠેલા ૧૧ વ્યક્તિ ને નાની મોટી ઈજા થઈ હતી. જે પૈકી ૧ જાનૈયા નું મૃત્યુ નીપજ્યું છે. પોલીસ વધુ તપાસ ચલાવે છે.આ બનાવની વિગત એવી છે કે જામનગર તાલુકાના સિક્કા-સરમત ગામના એક પરિવારના અને કુટુંબીજનોના અન્ય ૧૧ જેટલા સભ્યો આજે વહેલી સવારે એક બોલેરો માં બેસીને બોટાદ તરફ લગ્ન નો ચાંદલો લઈને બોટાદ જઈ રહ્યા હતા. જે દરમિયાન જામનગર-રાજકોટ ધોરી માર્ગ પર ફલ્લાની જોખમી ગોલાઈ પાસે વહેલી સવારે ૫.૩૦ વાગ્યાના અરસામાં બોલેરો પલટી મારી ગયો હતો.ઉપરોક્ત અકસ્માતમાં બોલેરો ની અંદર બેઠેલા જાનૈયાઓએ ભારે ચીસાચીસ કરી મૂકી હતી. જેમાં માલાભાઈ પરમાર નામના ૫૦ વર્ષના એક આઘેડનું ગંભીર ઇજા થવાના કારણે મૃત્યુ નીપજ્યું હતું. આ ઉપરાંત બોલેરામાં બેઠેલા નાનજીભાઈ નારાયણભાઈ, તેમજ દિનેશભાઈ પરમાર, મનોજભાઈ પરમાર, નારણભાઈ પરમાર વગેરેને નાની મોટી ઈજા થઈ હોવાથી જુદી જુદી ૧૦૮ નંબરની એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જે તમામની સારવાર ચાલી રહી છે.આ અકસ્માતના બનાવની જાણ થતાં પંચકોશી એ. ડિવિઝન ના પોલીસ સ્ટાફે ઘટના સ્થળે તેમજ જી.જી. હોસ્પિટલમાં દોડી ગયો છે, અને મૃતદેહનો કબજો સંભાળી પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી છે.