જામનગરમાં વીજ જોડાણ કટ કરવા ગયેલી ટુકડી સાથે વીજ ગ્રાહકની બબાલ

0
3895

જામનગરમાં રાજ પાર્ક નજીક રાધાકૃષ્ણ પાર્કમાં વીજ જોડાણ કટ કરવા ગયેલી ટુકડી સાથે વીજ ગ્રાહકની બબાલ

  • લાંબા સમયથી વીજના નાણાં ભરતા ન હોવાથી વીજ કનેક્શન કટ કરવા જતાં વિજ ગ્રાહકે વીજ અધિકારીની ફરજમાં રૂકાવટ કર્યા ની ફરિયાદ

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૨૦, માર્ચ ૨૪ જામનગરમાં રાજપાર્ક નજીક રાધાકૃષ્ણ પાર્ક સોસાયટીમાં રહેતા એક વિજ ગ્રાહક દ્વારા લાંબા સમયથી વીજબીલના નાણાં ભરતા ન હોવાથી તેનું વીજ જોડાણ કટ કરવા માટે જતાં વીજ મહિલા વીજ અધિકારી સહિતની ટિમ સાથે વીજ ગ્રાહકે બબાલ કરી, તેઓની ફરજમાં રૂકાવટ કરી હતી, અને અપ શબ્દો ઉચ્ચાર્યા હતા. જેમાં તેના ઘરના મહિલા સભ્યો પણ જોડાયા હતા.જેથી આ મામલો સીટી બી. ડિવિઝન પોલીસ મથકમાં લઈ જવાયો છે, અને પીજીવીસીએલના મહિલા જુનિયર ઈજનેર દ્વારા પોતાની તેમજ પોતાના સ્ટાફની ફરજ માં રૂકાવટ અંગેની ફરિયાદ અરજી આપી છે જે મામલે સીટી બી. ડિવિઝન પોલીસ તપાસ ચલાવે છે. આ બનાવની વિગત એવી છે કે જામનગરના પીજીવીસીએલના દરબારગઢ પેટા વિભાગની કચેરીમાં જુનિયર ઈજનેર તરીકે ફરજ બજાવતા કોમલબેન આર. ચંદારાણા તેમજ જુનિયર આસિસ્ટન્ટ ડી. સી. બકરાણીયા અને આસિસ્ટન્ટ લાઈનમેન ડી.ડી. ચંદ્રપાલ વગેરે રાજપાર્ક નજીક રાધાકૃષ્ણ પાર્ક વિસ્તારમાં વીજબિલના બાકી રોકાતા નાણાંની વસુલાત અર્થે તેમ જ ડીશ કનેક્શનની કાર્યવાહી માટે ગયા હતા.

જે દરમિયાન ભરત જયેન્દ્રભાઈ વારા નામના વીજ ગ્રાહક, કે જેઓ પોતાના વીજબિલના નાણાં લાંબા સમયથી ભરપાઈ કરતા ન હોવાથી ફરીથી તેઓ પાસે વીજબીલ ની રકમ માંગતાં રકમ ભરપાઈ કરવાનો ઇનકાર કર્યો હતો. જેથી વીજ ટુકડી દ્વારા તેના ઘરનું વિજ જોડાણ કટ કરવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. દરમિયાન ભરત વારા અને તેના પત્નીએ બેફામ વાણી વિલાસ કરી વીજ અધિકારી અને કર્મચારીઓની ફરજમાં રૂકાવટ પેદા કરી હતી, અને વિજ જોડાણ કટ કરવા દીધું ન હતું, તેમજ વીજ બિલના નાણા પણ ભરપાઈ કર્યા ન હતા.

જેથી વીજ ટુકડી ત્યાંથી પરત ફરી હતી, અને પીજીવીસીએલના ઉચ્ચ અધિકારીને જાણ કર્યા પછી સમગ્ર મામલો સીટી બી. ડિવિઝન પોલીસ મથકમાં લઈ જવાયો હતો, અને કોમલબેન ચંદારાણા દ્વારા પોતાની તેમજ પોતાના સાથે ના સ્ટાફ ની ફરજ માં રૂકાવટ કરવા અંગે તેમ જ અભદ્ર વાણી વિલાસ કરવા અંગે ભરત જયેન્દ્રભાઈ વારા સામે લેખિતમાં ફરિયાદ અરજી આપી છે. જે અરજીના અનુસંધાને પોલીસ દ્વારા તપાસ શરૂ કરાઈ છે.