જામનગરમાં સરિતા ગીર ગૌ- સંવર્ધન કેન્દ્ર એટલે ગાયોનું કુદરતી રહેઠાણ

0
1902

સરિતા ગીર ગૌ- સંવર્ધન કેન્દ્ર એટલે ગાયોનું કુદરતી રહેઠાણ

  • દેશના પ્રથમ આધુનિક ગૌ-સંવર્ધન કેન્દ્રનું આવતી કાલે ઉદ્ઘાટન
  • વીજરખી ડેમ નજીક કેન્દ્ર સરકારના સહયોગથી પાંચ એકરમાં ફેલાયેલા ‘સરિતા ગીર ગૌ-સંવર્ધન કેન્દ્ર’નું કેન્દ્રીય મંત્રી પરસોતમ રૂપાલા કરશે ઉદ્ઘાટન

 દેશ દેવી ન્યૂઝ જામનગર તા. ૮ માર્ચ ૨૪, જામનગર તાલુકાના મિયાત્રા ગામના સીમ વિસ્તારમાં વિજરખી ડેમ નજીક કેન્દ્ર સરકારના સહયોગથી ગીર ગાય જેવી દેશી ગાયોની જાતિનું અસ્તિત્વ ટકાવવા પાંચ એકર જેટલી વિશાળ જગ્યામાં સંપૂર્ણ આધુનિક અને પરંપરાગત પધ્ધતિથી સુસજજ સરિતા ગીર ગૌ સંવર્ધન કેન્દ્ર ચાર કરોડથી વધુ રૂપિયાના ખર્ચે બનાવવામાં આવ્યું છે. જેનું ઉદ્ઘાટન આવતીકાલે કેન્દ્રીય પશુપાલન મંત્રી પરસોત્તમભાઈ રૂપાલા અને વન અને પર્યાવરણ મંત્રી મુળુભાઈ બેરા, જામનગરના સાંસદ પૂનમબેન માડમ, જામનગર જિલ્લા પંચાયતના પ્રમુખ મયબેન ગરચર, જામનગરના મેયર વિનોદભાઈ ખીમસુર્યા, ધારાસભ્ય રિવાબા જાડેજા, દિવ્યેશભાઈ અકબરી તેમજ શ્રીજી ગ્રુપના ડાયરેકટર મિતેષભાઈ લાલ સહિતના મહાનુભાવોના હસ્તે કરવામાં આવશે.

આ અંગે ગઈકાલે સરિતા ગીર ગૌ સંવર્ધન કેન્દ્રના એમ.ડી. અને ગોપાલરત્ન એવોર્ડ વિજેતા ધર્મેન્દ્રભાઈ કારાવદરાએ પત્રકાર પરિષદમાં વિગતો આપતાં જણાવેલ કે ગીર ગાયોનું મહત્વ વધારવા અને લોકોના શારિરક અને માનસિક સ્વાસ્થ્ય માટે તેના ઉત્પાદનોને પ્રોત્સાહન આપવાના હેતુથી સરિતા ગીર ગૌ-સંવર્ધન કેન્દ્રની સ્થાપના કરવામાં આવી છે. શ્રેષ્ઠ આરોગ્ય અને વિકાસ માટે અમારી ગાયોને સૌથી અનુકુળ અને કુદરતી પર્યાવરણ મળી રહે તે માટે અમારી ગૌશાળા આધુનિક તેમજ પરંપરાગત પધ્ધતિથી સુસજજ છે. ગીર ગાય જેવી દેશી ગાયોની જાતિનું અસ્તિત્વ ટકાવવા અને મુળ ગીર ગાયોની વસ્તી વધારવા માટેના તમામ પ્રયાસ અમે કરીએ છીએ. તબીબી સારવારથી લઈને ગર્ભાવસ્થા સુધી ગાયોની કાળજી રાખવા અમારી પાસે સંપુર્ણ આધુનિક સુવિધાઓ છે. ગૌશાળાના શેડમાં ખાસ ઈન્સ્યુલીન પતરાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જેનાથી બહારના તાપમાન કરતાં આઠથી નવ ડીગ્રી તાપમાન ઓછું રહે છે. અને ગૌશાળામાં માખી-મચ્છર ના ઉપદ્રવને રોકવા માટે મસ્કીટો કીલર મશીન લગાવવામાં આવ્યા છે. હાલમાં ગૌશાળામાં ૨૦૦ થી વધુ ગાયો ૫૦ થી વધુ વાછરડીઓનું સંવર્ધન કરવામાં આવી રહ્યું છે. અને ગાયોને ઋતુ પ્રમાણે અલગ અલગ ખોરાક આપવામાં આવે છે.

આ ઉપરાંત ગોળનું પાણી મીનરલ મીક્ષર, સીંધાલુણ મીઠુ, ગરો અને સતાવરી ઉપરાંત આઈએસઆઈ યુકત દાણ પણ આપવામાં આવે છે. ઘાસચારા માટે પાકુ ગોડાઉન અને ગાયોનું નિયમિત રસીકરણની સાથે આ ગૌશાળામાં ઓર્ગેનિક ખેતી કરતા ખેડૂતો, આત્મા પ્રોજેકટ, શાળાના વિદ્યાર્થીઓ માટે અલગ અલગ કેમ્પ યોજી ગાય આધારિત ખેતી, ખોરાક,સાંસ્ક્રૃતિનું માર્ગદર્શન આપવામાં આવે છે.