જામનગરમાં જી.જી ને પૂર્વ છાત્રો દ્વારા 1.60 કરોડના મશીનનું દાન

0
1905

જામનગરની શ્રી એમ. પી. શાહ સરકારી મેડિકલ કોલેજનાં ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ દ્વારા જી.જી. હોસ્પિટલમાં ₹1.60 કરોડનાં મશીનોનું અમૂલ્ય દાન કરાયું

જામનગર તા.  ૧૫ ફેબ્રુઆરી ૨૪, શ્રી એમ. પી. શાહ સરકારી મેડિકલ કોલેજ જામનગરના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ જે સમાજમાં ખૂબ મોટા સ્થાન પર ડોક્ટર તરીકે ફરજ બજાવે છે તેઓ દ્વારા તા.૨૭/૦૧/૨૦૨૪ના સંસ્થાની મુલાકાત લેવામાં આવી હતી. આ ભૂતપૂર્વ ડોક્ટરો સંસ્થાનું ઋણ ચૂકવવા તથા દર્દીલક્ષી સેવાઓને વધુ સુદ્રઢ બનાવવાની ભાવનાથી જી. જી. સરકારી હોસ્પિટલ અને શ્રી એમ. પી. શાહ સરકારી મેડિકલ કોલેજ જામનગરને વારંવાર મદદ કરતા હોય છે. જેના ભાગરૂપે જી. જી સરકારી હોસ્પિટલને ₹1.60 કરોડના મશીનોનું અમૂલ્ય દાન યુએસએમાં વસતા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ તરફથી આપવામાં આવ્યું છે.આ દાનમાં મળેલા મશીનોમાં મેમોગ્રાફી મશીન-બ્રેસ્ટ કેન્સરના નિદાન માટે, ઇકો મશીન- હૃદય રોગના નિદાન માટે, બાયોકેમેસ્ટ્રી એનેલાઇઝર- દર્દીઓની રૂટીન લોહીની તપાસ માટે મુખ્યત્વે છે. જે સંસ્થા અને દર્દીઓ માટે ખૂબ જ લાભદાયી છે.મેમોગ્રાફી મશીનની મદદથી 4000 જેટલી મહિલાઓની તપાસ કરવામાં આવી અને બ્રેસ્ટ કેન્સર લગત નિદાન કરવામાં આવ્યું છે. ઇકો કાર્ડિયોગ્રાફી મશીનની મદદથી રોજ ૮૦ જેટલા લોકો ઇકો તપાસ કરવા માટે સંસ્થા ખાતે આવે છે. અને હૃદયરોગ નું નિદાન કરવામાં આવે છે. બાયોકેમેસ્ટ્રી એનેલાઇઝર દ્વારા અત્યાર સુધી 60 લાખ જેટલા લોહીના પરીક્ષણો કરવામાં આવ્યા છે. જે દર્દીઓના નિદાન માટે અને સારવાર માટે ખૂબ જ ઉપયોગી રહેલ છે.આ ઉપરાંત સંસ્થાના આ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ તરફથી હાલના 42 જેટલા વિદ્યાર્થીઓને ₹60,000 / પ્રતિ વિદ્યાર્થી / પ્રતિ વર્ષ જેટલી સ્કોલરશીપ પણ આપવામાં આવે છે. જે તેમના ભણતર અને ઘડતરમાં ખૂબ જ ઉપયોગી ભાગ ભજવે છે. સંસ્થાના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ કે જેઓ હાલમાં પોતાના કાર્યક્ષેત્રમાં તબીબ તરીકે ખૂબ જ મોટું નામ ધરાવે છે તેઓ દ્વારા મળેલ આ દાન સંસ્થા, દર્દીઓ તથા વિદ્યાર્થીઓ માટે ખૂબ જ મહત્વનું, ઉપયોગી અને પ્રેરણાદાયી છે.ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ દ્વારા મળેલ દાનનું સંકલન કરનાર ડૉ. સુમન પંડ્યા દ્વારા કરવામાં આવ્યું છે. અને ડૉ. પી. સી. રાજુ, ડૉ. સ્નેહલતા અને ડૉ. સુમંત પંડયા, ડૉ. જયેશ જોશી, ડૉ. પિયુષ માટલિયા અને ડૉ. ગાયત્રી ઉપાધ્યાય ઠાકર, ડૉ સુરેશ ઠાકરને ડીનશ્રી નંદીનીબેન દેસાઈ અને વિવિધ ફેકલ્ટી દ્વારા આવકારવામાં આવ્યા છે.