જામનગરના આમરા ગામે કુવામાં રોટલો મૂકી વરસાદનો વરતારો જોવાની અનોખી પરંપરા

0
3383

જામનગરના આમરા ગામે રોટલાને કુવામાં નાખી દિશા પરથી વરતારો નક્કી કરવાની અનોખી પરંપરા

  • જામનગરના આમરા ગામના ખેડૂતો માટે તો અષાઢ મહિનાના પ્રથમ સોમાવરે થતી આગાહી જ મહત્વની હોય છે : ગ્રામજનોએ સારા વર્ષની આશા વ્યક્ત કરી
  • રોટલાને કુવામાં નાખી દિશા પરથી વરતારો નક્કી કરવાની પ્રથા  400 કરતાં વધુ વર્ષથી ચાલી આવે છે.

દેશ દેવી ન્યુઝ જામનગર તા.૧૯ જૂન ૨૩ જામનગર નજીકના આમરા ગામમાં ચોમાસું કેવું રહેશે તેને લઈ ૪૦૦ વર્ષ જૂની પરંપરા ચાલી આવે છે, હાલના સમયમાં વરસાદ માટે હવામાન ખાતા દ્વારા ભલે આગાહીઓ થતી હોય, પરંતુ ઘણા ગામડાઓમાં આજે પણ પ્રાચીન પદ્ધતિઓથી વરસાદનો વરતારો નક્કી કરવામાં આવે છે. જામનગર નજીક આવેલા આમરા ગામના ખેડૂતો આજે પણ એક પરંપરાગત રીતથી વર્ષ કેવું રહેશે તે નક્કી કરે છે. અહીં ગામમાં આવેલા એક કુવામાં બે રોટલાઓ ફેંકી રોટલાની દિશા નક્કી કરવામાં આવે છે અને રોટલા જે દિશામાં જાય તેના પરથી નક્કી થાય છે કે વર્ષ કેવું રહેશે.જામનગર નજીક આવેલા આમરા ગામે કોઈપણ જાતના આયોજન કે જાહેરાત વગર અષાઢ મહિનાના પ્રથમ સોમવારે આ રીતે ગામ લોકો એકઠા થઈ જાય છે. ચોમાસાને લઈ હવામાન ખાતું જે કંઈ પણ આગાહીઓ કરતું હોય પરંતુ, આમરા ગામના ખેડૂતો માટે તો અષાઢ મહિનાના પ્રથમ સોમાવરે થતી આગાહી જ મહત્વની હોય છે. રોટલાને કુવામાં નાખી દિશા પરથી વરતારો નક્કી કરવાની પ્રથા આમરા ગામમાં છેલ્લા 400 કરતાં વધુ વર્ષથી ચાલી આવે છે.
આ પ્રથા મુજબ ગામ લોકો અષાઢ મહિનાના પ્રથમ સોમવારે ગામમાં એકઠા થાય છે. ત્યારબાદ રોટલા તૈયાર કરી ગામ લોકો વાજતેગાજતે ગામમાં આવેલા વેરાઈ માતાજીના મંદિરે પહોંચે છે. જયાં જે વ્યકિત રોટલાને કુવામાં પધરાવે છે તે વ્યકિતને સ્નાન કરાવવામાં આવે છે. ત્યારબાદ રોટલાને ઉપરથી કુવામાં પધરાવવામાં આવે છે. રોટલા કુવામાં પધરાવ્યા બાદ ગામના વડીલો રોટલા કઈ દિશામાં જાય છે તેના પર નજર રાખે છે. ગામના વડીલોનું માનીએ તો જો રોટલા પૂર્વ કે ઈશાન બાજુ જાય તો વર્ષ સારૂ રહે છે અને આથમણી દિશામાં જાય તો વર્ષ થોડું નબળું પડે છે. રોટલાના વરતારો વિશે જાણવા મોટી સંખ્યામાં એકઠા થાય છે.હાલ જ્યારે વરસાદ ખેંચાયો છે, ત્યારે સૌ કોઈને ઈંતજાર છે કે વરસાદ કયારે આવશે અને વર્ષ કેવું રહેશે. જો આમરાના ગ્રામજનો દ્વારા આજના દિવસે કરવામાં આવેલા વરતારાનું માનીએ તો આજે જે રોટલા ફેંકવામા આવ્યા તેમાં એક રોટલો ઉગમણી દિશામાં ગયો છે. ગામલોકોના મતે આ વર્ષ સારુ રહેશે.

એક સમય હતો કે આમરા ગામમાં અષાઢ મહિનાના પ્રથમ સોમવારે જ્યારે રોટલાથી વરતારો થતો ત્યારે આસપાસના 20 ગામના લોકો આ વરતારો જાણવા અહીં આવી પહોંચતા. જો કે, આજે વર્ષો બાદ આસપાસના ગામલોકો અહીં નથી પહોંચતા, પરંતુ, આમરા ગામના લોકોએ તો આજે પણ આ પ્રથાને જાળવી રાખી છે. જેઓ આજે પણ જે રીતે વરતારો થાય છે તેના આધારે જ શેની વાવણી કરવી તેનો નિર્ણય કરે છે.. ….