જામ્યુકો રેલવે પાસે ૩૪.૯૨ કરોડની વસુલાતે પહોંચી : સીલ કરાતા દોડધામ

0
2786

જામનગર મહાનગરપાલિકા દ્વારા રેલવે વિભાગ પાસે વસૂલવાની થતી ૩૪.૯૨ કરોડની રકમ ના સંદર્ભમાં રેલવેની મિલકત સીલ કરાતાં દોડધામ

  • જી.જી. હોસ્પિટલ ની બાજુમાં આવેલી રેલવેની ચાલુ ઓફિસ ખાલી કરવી જામ્યુકોની ટીમેં ઓફિસને સીલ મારી દેતાં રેલવે તંત્રમાં દોડધામ

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૨૯ જુન ૨૪ જામનગર મહાનગરપાલિકાના સૌથી મોટા બાકીદાર એવા રેલવે વિભાગ દ્વારા લાંબા સમયથી સર્વિસ ચાર્જની રૂપિયા ૩૪.૯૨ નું કરોડની રકમ ભરપાઈ કરવાની થાય છે, જે આખરી નોટિસ આપવા છતાં પણ રેલવે તંત્ર દ્વારા ભરપાઈ કરવામાં ન આવતાં આખરે આજે જામનગર મહાનગરપાલિકાની ટેક્સ વિભાગની ટીમેં જી.જી. હોસ્પિટલની બાજુમાં આવેલી રેલવેની કચેરીએ પહોંચી જઈ, ચાલુ ઓફિસને ખાલી કરાવીને ત્યાં જામનગર મહાનગરપાલિકાના સીલ લગાવી દીધા છે, જેથી ભારે દોડધામ થઈ છે.

નામદાર સુપ્રીમ કોર્ટના જજમેન્ટ અનુસાર કેન્દ્ર સરકારશ્રી મિલકતોમાં મ્યુની. સર્વિસ ચાર્જ વસુલ કરવાનો હક્ક રહે છે. અને તે અનુસાર જામનગર મહાનગરપાલિકા દ્વારા રેલ્વે વિભાગને આ ચુકાદો આવ્યા બાદ સને ૨૦૦૯ થી આજ સુધી સર્વિસ ચાર્જ ભરપાઈ કરવા અને એમઓયુ કરવા અનેક વખત પત્રો તથા સર્વિસ ચાર્જના બીલો મોકલી પત્રવ્યવહાર કરવામાં આવ્યા છે. જે બાબતે તા. ૧૪/૧૨/૨૦૨૩થી એમ.ઓ.યુ. કરવામાં આવેલા, જેને ૬ માસ જેટલો સમય વ્યતીત થયેલ હોય, રેલ્વે વિભાગ દ્વારા સર્વિસ ચાર્જની રકમ ભરપાઈ કરવામાં આવેલી નથી.

રેલ્વે વિભાગને માગ્યા મુજબની તમામ વિગતો અત્રેથી પૂરી પાડવામાં આવેલી છે, અને પુરતી તકો આપવામાં આવેલી છે. જ્યારે મ્યુનિ. કમિશનરશ્રીની સહીથી આખરી નોટીસો પણ પાઠવવામાં આવલી છે.તેમ છતાં રેલ્વે વિભાગ સર્વિસ ચાર્જની રકમ ભરપાઈ કરેલી ન હોય, આમ રેલ્વે વિભાગ દ્વારા સુપ્રીમ કોર્ટના ચુકાદા અને મહાનગરપાલિકા જામનગર સાથે થયેલ એમ.ઓ.યુ.ની શરતોનો સંપૂર્ણ ભંગ કરવામાં આવેલો છે.

જેથી જામનગર શહેર વિસ્તારમાં સમાવિષ્ટ થતી રેલ્વે વિભાગની જુદી-જુદી ૧૩ મિલકતોમાં તા. ૩૧/૦૩/૨૦૨૫ સુધી કુલ બાકી સર્વિસ ચાર્જની રકમ રૂ. ૩૪.૯૨ કરોડની રકમ વસુલ કરવાની થાય છે. જે અન્વયે ઘી. બી.પી.એમ.સી. એકટ ૧૯૪૯ની કલમ-૧૪૧-એ-એ અનુસાર રેલ્વે વિભાગની જીજી હોસ્પિટલ ની બાજુમાં આવેલી મિલકતમાં સર્વિસ ચાર્જ વસુલાત કરવા ભાગરૂપે રેલવેની ચાલુ કચેરી કે જેમા સ્ટાફ હાજર હતો, તેઓને ખાલી કરાવી અને તે મિલકત ઉપર જામનગર મહાનગરપાલિકાના સીલ લગાવી દેવાયા હતા. જામ્યુકો ની ટેક્સ વિભાગની ટીમ દ્વારા આ સીલીંગની કાર્યવાહી કરવામાં આવતાં રેલવે તંત્રમાં ભારે દોડધામ મચી ગઈ છે.