પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપી સગીરાનું અપહરણ અને બળાત્કાર કરનાર ઢોંગી સાધુ ઝડપાયો.

0
690

જામનગરની યુવતીનું અપહરણ-દુષ્કર્મ સબબ પાંખડી સામે ફરિયાદ.

પંચકોષી બી ડિવિઝનના પીએસઆઈ સી.એમ. કાંટેલિયા તથા સ્ટાફની ત્વરીત કાબીલેદાદ કામગીરી.

મંત્ર-જાપના બહાને આશરો મેળવી યુવતિને હત્યાની ધમકી આપી તેના જ ઘરમાં બે વખત દુષ્કર્મ ગુજારાયાની ફરિયાદ નોંધાવી.

જામનગર: જામનગર નજીકના એક ગામમાં વસવાટ કરતાં પરિવારને ત્યાં છએક મહિના પહેલાં જિતેન્દ્ર પૃથ્વીસિંહ પરમાર (ઉ.વ. 42) નામનો અરવલ્લી જિલ્લાનો શખ્સ સાધુના સ્વાંગમાં આવી પહોંચ્યો હતો.

આ શખ્સે પોતાનું નામ સાધુ જિતેન્દ્રગીરી ઉર્ફે મેન્ટલગીરી હોવાનું જણાવી આશરો માંગતા તે પરિવારે પોતાના ખેતરમાં તે સાધુને રહેવા તથા જમવાની સગવડ કરી આપી હતી.

આ પાખંડીએ ખેતરમાં જ પોતાને મંત્રજાપ કરવા છે તેમ કહયું હતું. ત્યારપછી આશરો આપનાર પરિવારના ઘરના સભ્યો ખેતરમાં જ જિતેન્દ્રગીરીને જમવાનું પહોંચાડતા હતાં.

આ પરિવારની યુવતિ પર પાખંડીએ નજર બગાડી હતી. ત્રણેક મહિના પહેલા તે યુવતીને જિતેન્દ્રગિરિએ જણાવ્યું હતું કે, તારા પરિવારને મેં મારી તાકાતથી વશમાં લઈ લીધો છે, તારે મારું કહ્યું કરવાનું છે. તે પછી ગયા સપ્તાહે તે યુવતીને મારી સાથે ચાલ તેમ કહેતાં તે યુવતીએ વિરોધ કર્યો હતો.

આ વેળાએ જિતેન્દ્રગીરીએ તારા પરિવારને મારી નાખીશ તેવી ધમકી આપતાં તે યુવતી મજબૂર બની હતી.

તેણીને જામનગરથી જિતેન્દ્રગીરી પોતાની સાથે લઈ જતાં પરિવાર વ્યાકુળ બન્યો હતો. તેણીની શરૃ કરાયેલી શોધખોળ દરમ્યાન ખેતરમાંથી પાખંડી જિતેન્દ્રગીરી પણ ગુમ હોવાનું જણાઈ આવતાં પોલીસને જાણ કરાઈ હતી.

પંચકોષી બી ડિવિઝનના પીએસઆઈ સી. એમ. કાંટેલિયા તથા સ્ટાફે જુદી જુદી દિશામાં તપાસ શરૂ કરી હતી. જેમાં મોબાઈલ લોકેશન ચેક કરાતાં પાખંડી જિતેન્દ્રગીરી અમદાવાદમાં હોવાનું જણાઈ આવ્યું હતું. તેથી જામનગરથી પોલીસ કાફલો અમદાવાદ દોડી ગયો હતો.

ત્યાંથી ગઈકાલે જિતેન્દ્રગીરીને તે યુવતી સાથે પકડી પાડવામાં આવ્યો હતો. જામનગર ખસેડાયેલી તે યુવતીએ પોતાની સાથે આ શખ્સે રાજસ્થાનમાં દુષ્કર્મ ગુજાર્યાની ફરિયાદ નોંધાવી છે.

જામનગરથી તે યુવતીનું અપહરણ કરી જુનાગઢ, અમદાવાદ અને ત્યાંથી રાજસ્થાન લઈ જવામાં આવી હતી.

પોલીસે આરોપી સામે અપહરણ, દુષ્કર્મ વગેરે કલમો હેઠળ ગુન્હો નોંધી ધરપકડ માટે તજવીજ હાથ ધરી છે.