જામનગરના ચકચારી ગુજસીટોકના પાંચ આરોપીની જામીન અરજીનો 15 મીએ ફેંસલો: સંજય દત્તના કેસનો ઉલ્લેખ

0
1365

જામનગરના ચકચારી ગુજસીટોકના પાંચ આરોપી જેમાં પૂર્વ પોલીસકર્મી , એડવોકેટ , બિલ્ડર સહિતના પાંચેયની અરજીની સુનાવણી પૂરી થઈ

ગુજસીટોક 5 આરોપીની જામીન અરજીનો 15 મીએ ફેંસલો આવશે

સરકારી વકીલે અભિનેતા સંજયદતના કેસનો વારંવાર ઉલ્લેખ કર્યો

દેશ દેવી ન્યુઝ નેટવર્ક : જામનગરના ચકચારી ગુજસીટોક કેસમાં જેલમાં રહેલા પૂર્વ પોલીસકર્મી , એક બિલ્ડર , એડવોકેટ સહિતના પાંચ આરોપીએ જામીનમુકત થવા કરેલી અરજીની સુનાવણી હાઈકોર્ટમાં પૂર્ણ થઈ છે.

જામીન અરજીનો ચુકાદો અદાલતે આગામી તારીખ 15 સપ્ટેમ્બરના આપવાનું હાઇકોર્ટે મુકરર કર્યું છે.

જામનગરના ભૂમાફિયા જયેશ પટેલ દ્વારા ચલાવવામાં આવતી ઓર્ગેનાઈઝડગેંગ દ્વારા વેપારીઓ , બિલ્ડરો , ઉદ્યોગપતિઓને ધમકાવી ખંડણીની વસૂલાતની ફરિયાદોના પગલે ગત વર્ષે જામનગરના જિલ્લા પોલીસવડા દીપન ભદ્રનઅને તેઓની ટીમ દ્વારા ગુજસીટોક કાયદા હેઠળ જામનગરની પ્રથમ ગુન્હો નોંધવામાં આવ્યો હતો.

જેમાં જયેશ તથા તેની કહેવાતી ગેંગના 14 શખસો સામે ગુનો નોંધવામાં આવ્યો હતો.

જેમાં ગેંગના સાગરીત ગણાતા જીમ્મી ઉર્ફે જીગર આડતિયા , નગરસેવક અતુલ ભંડેરી , પૂર્વ પોલીસ કર્મચારી વશરામભાઈ આહિર , બિલ્ડર મુકેશ અભંગી , નિલેશભાઈ ટોલિયા , એડવોકેટ વી . એલ . માનસાતા સહિતના શખ્સોના આરોપી તરીકે નામ જાહેર થયા હતા.

આ ગુનામાં મુખ્ય સૂત્રધાર જયેશ સહિત ત્રણ આરોપીને હજુ પકડવાના બાકી છે.

આ ત્રણ સિવાયના આરોપીને રાજકોટ સ્થિત ગુજસીટોક કાયદાની ખાસ અદાલતે રાજ્યની જુદી જુદી જેલમાં મોકલી આપ્યા પછી તપાસનીસ પોલીસ ટૂકડીએ ચાર્જશીટ કર્યું હતું.

આથી આ કેસના આરોપી વશરામ આહિર , નિલેશ ટોલિયા , એડવોકેટ વી .એલ. માનસાતા સહિત પાંચ આરોપીએ જામીનમુકત થવા ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરી હતી , જેમાં બન્ને પક્ષની દલીલો પૂર્ણ થતા સુનાવણી પૂર્ણ થતા હાઈકોર્ટે જામીન અરજીઓનો હુકમ આગામી તા .15 સપ્ટેમ્બરના આપવાનું મુકરર કર્યું છે.

જામીન અરજીની સુનાવણી દરમ્યાન સરકાર વકીલે અભિનેતા સંજય દતના મુંબઇના ચકચારી કેસનો વારંવાર ઉલ્લેખ કર્યો હતો.