જામનગર જી.જી.હોસ્પિટલમાં એટેન્ડન્ટ યુવતીની જાતીય સતામણી કેસના પડઘા ગાંધીનગર સુધી પડ્યા : સંડોવાયેલા કોઇપણ વ્યક્તિને છોડવામાં આવશે નહી : પ્રદિપસિંહ જાડેજા

0
670

જામનગર જી.જી.હોસ્પિટલમાં એટેન્ડન્ટ યુવતીની જાતીય સતામણી કેસના પડઘા ગાંધીનગર સુધી પડ્યા.

આ પ્રકરણ કે કોઇ અન્યમાં સંડોવાયેલા કોઇપણ વ્યક્તિને છોડવામાં આવશે નહી: પ્રદિપસિંહ જાડેજા

ગાંધીનગર: ગૃહ રાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજા એ જણાવ્યું છે કે, જામનગરની જી.જી. સરકારી હોસ્પિટલના કોવિડ વોર્ડ માં કાર્યરત એટેન્ડન્ટ યુવતીઓ પાસે કરાયેલી અઘટિત માંગણી અને જાતીય સતામણી ના આક્ષેપો સંદર્ભેની ઘટનાને રાજ્ય સરકારે અત્યંત સંવેદનશીલતાથી લઈને આ બનાવમાં સંડોવાયેલા કોઈ પણ વ્યક્તિને છોડવામાં આવશે નહીં. કસૂરવાર સામે કડક હાથે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.

ગૃહરાજયમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ ઉમેર્યું કે, રાજ્યના સંવેદનશીલ મુખ્યમંત્રી વિજય રૂપાણી એ આજે મળેલી રાજય મંત્રી મંડળની બેઠકમાં જામનગર ખાતેની ઘટનાની જાણ થતાં ઘટના સંદર્ભે સ્થાનિક જિલ્લા વહિવટી તંત્રને સૂચનાઓ આપી ઘટનાના મૂળ સુધી પહોંચી ત્વરીત તપાસ કરવાના આદેશો કર્યા છે.

આ માટે જિલ્લા કલેકટર અને આરોગ્ય કમિશ્નરને સુચના આપી સ્થાનિક કક્ષાએ તપાસ સમિતી નિમીને ઘટનાની તલસ્પર્શી તપાસ કરવા જણાવ્યું છે. આ તપાસ કમિટિમાં જામનગરના પ્રાંત અધિકારી, આસી. સુપ્રિન્ટેડેન્ટ ઓફ પોલીસ અને મેડીકલ કોલેજના ડીનની નિમણુંક કરાઇ છે. આ કમિટિ સમગ્ર બનાવની તપાસ કરી અહેવાલના આધારે કસુરવારો સામે કડકમાં કડક કાર્યવાહી હાથ ધરાશે.

મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ ઉમેર્યુ કે, રાજયભરમાં કોઇપણ બેન કે દિકરીઓ રોજગારી માટે જયાં પણ કામ કરતી હશે અને ત્યાં આવા પ્રકારનું શોષણ થતુ હશે તો રાજય સરકાર ચલાવી લેશે નહી અને કોઇને પણ છોડશે નહી. કસુરવારો સામે કડક કાર્યવાહી કરવાના આદેશો પણ કરી દેવાયા છે.