કોરોના દર્દીને રાહત આપતો નિર્ણય HRCT સિટી સ્કેનનો મહત્તમ ભાવ રૂ. 3000 નક્કી કરાયો વધુ લેતા પકડાયા તો ખેર નહી.

0
329

HRCT સિટી સ્કેનનો મહત્તમ ભાવ રૂ. 3000 નક્કી કરાયો.

કોરોનાના દર્દીઓને રાહત આપતો રાજ્ય સરકારનો નિર્ણય.

કોઈપણ ડાયગ્નોસ્ટિક સેન્ટર કે લેબોરેટરી HRCT સિટી સ્કેનના નિયત ભાવથી વધારે લેતા જણાશે તો કડકમાં કડક કાર્યવાહી કરાશે.

ગાંધીનગર : ગુજરાત સરકારે સમગ્ર રાજ્યમાં કોરોનાના દર્દીઓ માટે આવશ્યક એવા સિટી સ્કેન- HRCT THORAXના પરિક્ષણનો મહત્તમ ભાવ રૂપિયા 3,000 નક્કી કર્યો છે. આજથી જ સમગ્ર રાજ્યમાં આ ભાવ અમલી થશે.

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે કોર કમિટીની બેઠકમાં લેવાયેલા આ નિર્ણયની જાહેરાત કરતાં જણાવ્યું હતું કે કોરોનાના દર્દીઓને સીટી સ્કેનની આવશ્યકતા ઊભી થાય છે અને HRCT રિપોર્ટ કરાવવો પડે છે. રાજ્ય સરકારના ધ્યાને આવ્યું હતું કે, અલગ-અલગ શહેરોમાં કાર્યરત ડાયગ્નોસ્ટિક સેન્ટર મનફાવે તે રીતે દર્દીઓ પાસેથી ભાવો લે છે.

કોરોનાના દર્દીઓને હાલાકી ન ભોગવવી પડે અને તેમની મુશ્કેલીઓમાં રાહત મળે તે હેતુથી ગુજરાત સરકારે તમામ ડાયગ્નોસ્ટિક સેન્ટર માટે ઇંછઈઝ સિટી સ્કેનના ભાવ રૂપિયા 3,000 નિયત કર્યા છે. ગુજરાતના કોઇપણ શહેરમાં કોઇપણ ડાયગ્નોસ્ટિક સેન્ટર કે લેબોરેટરી HRCT સિટી સ્કેનના ભાવ રૂ. 3,000થી વધારે લેતા જણાશે કે જાણમાં આવશે તો તેની સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે.

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ તમામ લેબોરેટરીઓ અને ડાયગ્નોસ્ટિક સેન્ટરના સંચાલકોને અપીલ કરી છે કે, કોરોનાના દર્દીઓને વધુમાં વધુ રાહત આપી શકાય તે માટે તત્પર રહેવું જોઈએ.