સૌરાષ્ટ્ર વિસ્તારના ખેડૂતો અને નાગરિકોને ‘સૌની’ યોજનાની લિંક કેનાલો દ્વારા નર્મદાના નીર અપાશે : નીતિનભાઈ પટેલ.

0
49

સૌરાષ્ટ્ર વિસ્તારના ખેડૂતો અને નાગરિકોને ‘સૌની’ યોજનાની લિંક કેનાલો દ્વારા નર્મદાના નીર અપાશે : નીતિનભાઈ પટેલ.

સૌરાષ્ટ્રના 50 જળાશયો, 100 થી વધુ તળાવો અને 500 થી વધુ ચેકડેમો નર્મદાના નીરથી ભરાશે.

દેશ દેવી ન્યુઝ નેટવર્ક : અમદાવાદ તા.20
નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે જણાવ્યું છે કે, ખેડૂતોના હિતને વરેલી રાજ્ય સરકારે આજે વધુ એક ખેડૂત હિતલક્ષી નિર્ણય કરી સૌરાષ્ટ્ર વિસ્તારના ખેડૂતોને સિંચાઈ માટે અને નાગરિકોને પીવાના પાણી માટે સૌની યોજનાની લિંક કેનાલ દ્વારા નર્મદાનું નીર આપવાનો મહત્વનો નિર્ણય કર્યો છે.

નાયબ મુખ્યમંત્રીએ ઉમેર્યું કે, ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર યોજનામાં હાલ પૂરતા પ્રમાણમાં પાણીનો જથ્થો ઉપલબ્ધ છે

ત્યારે આ વિસ્તારના ખેડૂતો દ્વારા સિંચાઈ માટે પાણીની માંગણી કરાતાં રાજ્ય સરકાર દ્વારા આ મહત્વપૂર્ણ નિર્ણય કરાયો છે.

જે મુજબ સૌની યોજનાની ચારેય લીંક મારફતે તેમજ ગોમા-સુખભાદર પાઇપલાઇન મારફતે સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, રાજકોટ, મોરબી, અમરેલી, જુનાગઢ અને જામનગર જિલ્લાના જળાશયો/ચેકડેમો/તળાવો ભરવા માટે લીંક-1 માટે મચ્છું-2 જળાશય ખાતે 375 મીલીયન ઘનફુટ, લીંક-2 માટે લીંબડી ભોગાવો-2 (વડોદ) જળાશય ખાતે 1875 મીલીયન ઘનફુટ, લીંક-3 માટે ધોળીધજા ડેમ ખાતે 450 મીલીયન ઘનફુટ, લીંક-4 માટે લીંબડી ભોગાવો-2 (વડોદ) જળાશય ખાતે 1050 મીલીયન ઘનફુટ અને ગોમા-સુખભાદર પાઇપલાઇન માટે 250 મીલીયન ઘનફુટ મળી કુલ-4000 મીલીયન ઘનફુટ નર્મદાના નીર પૂરક સિંચાઇ અને પીવાના પાણી માટે છોડવાનો રાજ્ય સરકારે નિર્ણય લીધો છે.