જામનગરના જનપ્રતિનિધિઓ દ્વારા જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી

0
469

જામનગરના જનપ્રતિનિધિઓ દ્વારા જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી.

શહેરના દરેક પરિવારના મુખ્ય વ્યક્તિને પ્રધાનમંત્રી સુરક્ષા બીમા યોજનાનો મળશે લાભ

પ્રીમિયમની રકમ મંત્રી શ્રી આર.સી.ફળદુ, રાજ્યમંત્રી શ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા તથા સાંસદશ્રી પૂનમબેન માડમ ચૂકવશે

તા.22 મે ના રોજ રાજ્યમંત્રી શ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાના જન્મદિવસે શરૂ થનારી કામગીરી તા.1લી ઓગસ્ટના રોજ મંત્રી શ્રી આર.સી.ફળદુના જન્મદિવસે પૂર્ણ કરાશે

જામનગર, જામનગરના જનપ્રતિનિધિઓ દ્વારા કોરોના કાળમાં જામનગરવાસીઓને મદદરૂપ થવા પોતાના જન્મદિવસની ઉજવણી અનોખી રીતે ઉજવવાની પ્રશંસનીય પહેલ કરવામાં આવી છે.

જે અંગેની વિગતો આપવા કૃષિમંત્રી શ્રી આર.સી.ફળદુ, રાજ્યમંત્રીશ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા તથા સાંસદ શ્રી પૂનમબેન માડમે પત્રકાર પરિષદનું આયોજન કરી જણાવ્યું હતું કે સદીની સૌથી મોટી મહામારી પુરવાર થયેલ કોરોનાએ જામનગર , ગુજરાત અને દેશમાં અનેક પરિવારોને નોંધારા બનાવ્યા છે , વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની કાર્યકુશળતાથી તથા મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી , નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલ તથા પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલના માર્ગદર્શન હેઠળ આપણા ગુજરાતમાં કોરોનાથી ઓછામાં ઓછી લોકોને તકલીફ પડે તે માટે સતત પ્રયત્ન થઈ રહ્યા છે .

આ કપરા કાળમાં જામનગર શહેરમાંથી ચુંટાયેલા બંને ધારાસભ્યો અને રાજ્યસરકારમાં મંત્રી તરીકે જવાબદારી નિભાવતા શ્રી આર.સી.ફળદુ તથા શ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા ( હકુભા ) અને જામનગર અને દેવભૂમિ દ્વારકાના સાંસદશ્રી પુનમબેન માડમે જામનગર શહેરની પ્રજાની બાજુમાં ઉભા રહેવાનો નિર્ણય કરેલ છે, આવતીકાલે તા.22.5.2021 ના ધર્મેન્દ્રસિંહ જાડેજાનો જન્મદિવસ છે અને શ્રી આર.સી.ફળદુનો તા. 1.8.2021 ના રોજ જન્મદિવસ છે આ બંને પ્રજાના પ્રતિનિધિઓના જન્મદિવસને નિમિત બનાવી જામનગર શહેરના દરેક પરિવારના મુખ્ય વ્યક્તિનો ( કમાનાર વ્યક્તિ ) પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના હેઠળ રૂ . 2 ( બે ) લાખનો વીમો લેવાનું નક્કી કરેલ છે . જામનગર શહેરમાં આશરે એક લાખ વીસ હજાર પરિવાર વસવાટ કરે છે .

જે મુજબ દરેક પરિવારની મુખ્ય વ્યક્તિ ગણીએ તો અંદાજે એક લાખ વીસ હજાર વ્યક્તિઓનું જે પ્રીમીયમ ભરવાનું થશે તે તમામ રકમ ઉપરોક્ત બંને ધારાસભ્યોશ્રી અને સાંસદશ્રી અંગતરીતે ભરી આપશે અને આ રીતે દરેક પરીવારને રૂ .2 ( બે ) લાખના અકસ્માત વીમાનું કવચ મળશે . લોકો માટે લાભકારી આ યોજનાનો શુભારંભ રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ ( હકુભા ) જાડેજાના જન્મદિવસ તા .22.5.2021 ના રોજ કરવામાં આવશે અને શ્રી આર.સી.ફળદુના જન્મદિવસ તા .1.8.2021 સુધીમાં કામગીરી પૂર્ણ કરવામાં આવશે .

તેના માટેની તમામ તૈયારીઓ કરી લેવામાં આવી છે . પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના (પીએમએસબીવાય ) મળવાથી વિધાનસભા વિસ્તારના તમામ પરિવારના લોકોને લાભ મળશે એ બાબત નોંધપાત્ર છે . નક્કી કરાયા મુજબ આ યોજના હેઠળ 78 – વિધાનસભા મત વિસ્તારના દરેક પરિવાર દીઠ એક વ્યક્તિનો રૂ.બે લાખ સુધીનો અકસ્માત વીમો ઉતારવામાં આવશે.

અને એક વર્ષનું સંપૂર્ણ પ્રિમિયમ રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ ( હકુભા ) જાડેજા તથા સાંસદ પુનમબેન માડમ દ્વારા ભરી દેવામાં આવશે . 79 – વિધાનસભા મત વિસ્તારના દરેક પરિવાર દીઠ એક વ્યક્તિનો રૂ.બે લાખ સુધીનો અકસ્માત વીમો ઉતારવામાં આવશે અને એક વર્ષનું સંપૂર્ણ પ્રિમિયમ કેબીનેટ મંત્રી આર.સી.ફળદુ તથા સાંસદ પુનમબેન માડમ દ્વારા ભરી દેવામાં આવશે . જામનગર શહેરના દરેક કુટુંબની કોઈપણ વ્યક્તિ તેના પરિવારના મુખ્ય વ્યક્તિનું ફોર્મ ભરીને વીમો કરાવી શકશે , આ યોજનામાં 18 વર્ષથી લઈને 70 વર્ષ સુધીની વ્યક્તિનો વીમો અર્થાત સુરક્ષા કવચ મેળવીને લાભાન્વિત થઈ શકાશે . યોજનાની વિશેષતા એ છે કે , પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજનામાં બેંકમાં પ્રિમિયમ ભરાતાની સાથે બીજા દિવસથી જ અકસ્માતમાં મૃત્યુના સંજોગોમાં બે લાખની રકમ મળશે . આ ઉપરાંત બન્ને આંખમાં , બન્ને હાથમાં , બન્ને પગમાં અકસ્માતથી જો કોઈપણ નુકસાન થાય તો પણ બે લાખની રકમ મળી જશે અને એક આંખ , એક પગ કે એક હાથમાં કાયમી ખોટ જો અકસ્માતથી થઈ જાય તો એવી વ્યક્તિને એક લાખની વીમાની રકમ મળશે . આ યોજનાનો લાભ મેળવવા માંગતી વ્યક્તિ દ્વારા પોતાના આધાર કાર્ડની ઝેરોક્ષ , બેંકની પાસબુકની ઝેરોક્ષ અથવા પોતાના ખાતાના કેન્સલ ચેકની ઝેરોક્ષ તથા એક ફોટો આપવાનો રહેશે અને નોમીનીના આધારકાર્ડની ઝેરોક્ષ તથા ફોટો સાથે લાવવાનો રહેશે . વીમા યોજનાનો લાભ જામનગર શહેરના પ્રત્યેક પરિવારજનો સરળતાથી લઈ શકે એ માટે ભારતીય જનતા પાર્ટીના વોર્ડ પ્રમુખ , મહામંત્રી અને કોર્પોરેટરશ્રીઓની ટીમ દરેક વોર્ડમાં બનાવવામાં આવી છે , જે દરેક વિસ્તારમાં જઈ પરિવારોના મુખ્ય વ્યક્તિના ફોર્મ ભરશે તથા મંત્રીશ્રીના કાર્યાલય ખાતે લોકો પોતાના ફોર્મ ભરાવી શકશે . તા .22.5.2021 એટલે કે , રાજ્યમંત્રી હકુભા જાડેજાના જન્મદિવસે 78 – જામનગર વિધાનસભાના લોકો માટે થનારી આ યોજના તા .1.8.2021 એટલે કે , કેબિનેટ મંત્રી આર.સી. ફળદુ સાહેબના જન્મદિવસ સુધી ચલાવવામાં આવશે , સારો એવો સમય ફાળવવામાં આવ્યો છે તેનો હેતુ એ જ છે કે , વધુને વધુ લોકો યોજનાનો લાભ લઈ શકે 

યોજના સંબંધે કેબીનેટ મંત્રી શ્રી આર.સી.ફળદુ તેમજ રાજ્યમંત્રીશ્રી હકુભા જાડેજા અને સાંસદશ્રી પુનમબેન માડમે જણાવ્યું હતું કે , છેલ્લા દોઢ વર્ષથી કોરોનાની જીવલેણ મહામારી દરમિયાન અમે એવા – એવા હૃદયદ્રાવક દ્રશ્યો જોયા છે , જેને કદાચ અમે ભૂલી શકીશું નહીં , સ્વજનના મૃતદેહની સામે ચોધાર આંસુએ રડતાં પરિવારજનોના એ આકંદને વિસરી શકાય તેમ નથી , આ બધું જોયું ત્યારે જ મનોમન એવું નક્કી કર્યું હતું કે , મારા મત વિસ્તારના તમામ પરિવારોને ખાસ કરીને આકસ્મિક મૃત્યુ સમયે રાહત મળે એવું કંઈક કરવું છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના દેશવાસીઓ માટે બનાવવામાં આવી એટલે આ યોજનાનો પૂરેપૂરો લાભ જામનગર શહેરના બંને વિધાનસભા વિસ્તારના પ્રત્યેક પરિવારજનોને મળે એવો સંકલ્પ કર્યો હતો . જેથી કરીને આકસ્મિક સમયે આવી પડેલાં દુ:ખ વખતે લોકોને આર્થિક રીતે લાભ મળી શકે.

આ તકે મેયર શ્રી બીનાબેન કોઠારી, ડેપ્યુટી મેયર તપન પરમાર, સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન શ્રી મનીષ કટારીયા, શહેર ભાજપ પ્રમુખ શ્રી વિમલભાઈ કગથરા, સાશક પક્ષના નેતા શ્રી કુસુમબેન પંડ્યા, શહેર મહામંત્રી શ્રી વિજયસિંહ જેઠવા, શ્રી પ્રકાશભાઈ બાંભણીયા, પૂર્વ પ્રમુખ હસમુખભાઈ હિંડોચા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.