જામનગરમાં ગોકુલનગર વિસ્તારની 13 વર્ષની સગીરાનું અપહરણ-દુષ્કર્મનો આરોપી સાત મહિને ઝડપાયો.

0
611

જામનગરમાં 13 વર્ષની સગીરાનું અપહરણ-દુષ્કર્મનો આરોપી સાત મહિને ઝડપાયો.

જામનગર: જામનગરના ગોકુલ નગર વિસ્તારમાંથી તા. 22.10.2020 ના દિવસે 13 વર્ષની એક સગીરાનું અપહરણ થઈ ગયું હતું.

જે અપહરણના બનાવ અંગે સગીરાના બનેવીએ સીટી-સી ડિવિઝન પોલીસ મથકમાં એ વિસ્તારમાં જ રહેતા હમીર ઉર્ફે દિલીપ ધનાભાઈ બેરા નામના શખ્સ સામે અપહરણ અંગે ની ફરિયાદ નોંધાવી હતી.

આ ફરિયાદના અનુસંધાને પોલીસ દ્વારા આરોપીની શોધખોળ ચલાવવામાં આવી રહી હતી. તે દરમિયાન સગીરા ભાવનગરમાં હોવાનું જાણવા મળ્યું હતું, અને મહિલા પોલીસ સ્ટેશનની ટુકડી ભાવનગર પહોંચી હતી અને સગીરાનો કબજો સંભાળી જામનગર લઈ આવ્યા હતા. અને તેણીની તબીબી ચકાસણી કર્યા પછી તેને વિકાસ ગૃહમાં રાખવામાં આવી હતી.

જામનગરના મહિલા પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા સગીરાનું નિવેદન નોંધવામાં આવતાં તેણીનુ અપહરણ કરાયા પછી બનાસકાંઠા લઈ જઈ દુષ્કર્મ ગુજાર્યાનું પણ જણાવાયું હતું, અને આરોપી ભાવનગર તેના સંબંધીને ત્યાં ઉતારી ને ભાગી છૂટ્યો હતો.

પોતે મૂળ રાજસ્થાનની વતની હોવાથી મહિલા પોલીસે સગીરાના માતા-પિતા ને રાજસ્થાનથી બોલાવી તેનો કબજો સોંપી આપ્યો હતો. ત્યાર પછી આરોપી હમીર ઉર્ફે દિલીપ ની શોધખોળ ચલાવવામાં આવી હતી.

આ આરોપી સામે દારૂ અંગેના પણ જામનગર અને દેવભૂમિ દ્વારકામાં ગુના નોંધાયા હોવાનું માલુમ પડ્યું હતું.

દરમિયાન ગઇકાલે આરોપી પોતાના ઘર પાસે આવતાં મહિલા પોલીસ સ્ટેશનના સ્ટાફે તેને પકડી પાડ્યો છે, અને કોવિડ ટેસ્ટ માટે ની કાર્યવાહી આરંભી છે. ઉપરાંત તેની સામે પોક્સો એક્ટ ની કલમ તેમજ દુષ્કર્મ ગુજારવા અંગેની કલમનો ઉમેરો કર્યો છે.